
આષાઢ સુદ બીજના પવિત્ર દિવસે આજે 16 જુલાઈ 2026ના રોજ અમદાવાદ અને પુરીમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો છે. ઓડિશા સહિત સમગ્ર દેશ માટે આજનો દિવસ અત્યંત વિશેષ છે. કારણ કે આજે પુરીના શ્રી જગન્નાથ મંદિરમાં પવિત્ર રથયાત્રા મહોત્સવનો પ્રારંભ થયો છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે ભવ્ય રથોમાં બિરાજમાન થઈ પોતાની માસી ગુન્ડિચા દેવીના મંદિરે જાય છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, દર વર્ષે આષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે તેમની માસીના ઘરે, ગુંડિચા દેવી મંદિરમાં જાય છે. ભગવાન થોડા દિવસો માટે તેમની માસીના ઘરે રહે છે અને આરામ કરે છે. પછી શ્રીમંદિર પાછા ફરે છે. રથયાત્રાની સૌથી વિશેષ બાબત એ છે કે તેમાં દરેક વર્ગ, જાતિ અને સમાજના લોકો ભેદભાવ વિના રથની દોરી ખેંચે છે.
માનવામાં આવે છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવાથી, તેમના દર્શન કરવાથી અને રથયાત્રા દરમિયાન દોરડું ખેંચવાથી અપાર પુણ્ય મળે છે. જગન્નાથ રથયાત્રાને ભક્તિ, અટલ શ્રદ્ધા અને ભગવાન પ્રત્યે સમર્પણનું પ્રતીક માનવામાં આવે છે. રથયાત્રા માટે લીમડાના લાકડામાંથી ત્રણ ભવ્ય રથ બનાવવામાં આવે છે. રથયાત્રામાં, બલરામજીનો રથ ‘તાલધ્વજ’ (લાલ-લીલો રંગ) આગળ હોય છે. સુભદ્રાજીનો રથ ‘દર્પદલન’ જેને ‘પદ્મરથ’ (વાદળી-કાળો રંગ) તરીકે પણ ઓળખાય છે તે મધ્યમાં હોય છે અને જગન્નાથજીનો રથ ‘નંદી ઘોષ’ અથવા ‘ગરુડધ્વજ’ (લાલ-પીળો રંગ) પાછળ હોય છે.
રથયાત્રા દરમિયાન કરવામાં આવતા નૃત્યોને પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. ખાસ કરીને પુરીમાં વિશ્વ વિખ્યાત રથયાત્રા દરમિયાન, ઓડિસી નર્તકો ભગવાન જગન્નાથજી, ભગવાન બલભદ્રજી અને દેવી સુભદ્રાજી પ્રત્યેની તેમની ભક્તિ અને આદર વ્યક્ત કરતા મનમોહક નૃત્યો રજૂ કરે છે. આ પ્રદર્શન ફક્ત કલાનું પ્રદર્શન નથી પરંતુ દેવતાઓ અને ઓડિશાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યેની ભક્તિનું જીવંત પ્રતીક પણ છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન હાથીઓની સુરક્ષાને લઈને આ વખતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગયા વર્ષે 148મી રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં એક હાથી બેકાબૂ થતાં સાવચેતીના પગલાં વધુ મજબૂત બનાવાયા છે. આ વર્ષે હાથીઓ પર જાયરોસ્કોપ ડિવાઇસ લગાવવામાં આવ્યા છે. જે તેમની હાલચાલ અને સંતુલન પર સતત નજર રાખશે. ભીડ અથવા ડીજેના ઊંચા અવાજને કારણે કોઈ અસામાન્ય સ્થિતિ સર્જાય તો તાત્કાલિક માહિતી મળી શકે તે માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
નોંધ : આ સમાચારમાં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 ગુજરતી તેનું સમર્થન કરતું નથી.