શ્રીકૃષ્ણને અહીં જ થઈ હતી સુદર્શન ચક્રની પ્રાપ્તિ! બિલેશ્વર ધામમાં થશે હરિહરના આશિષની પ્રાપ્તિ!
દંતકથા અનુસાર શ્રીકૃષ્ણ સંતાન સુખની કામના સાથે બરડા ડુંગર પર આવ્યા હતા. તે સમયે આ સમગ્ર વિસ્તાર બિલ્વવૃક્ષોથી ઘેરાયેલો હતો. શ્રીકૃષ્ણએ સર્વ પ્રથમ આ ભૂમિ પર આવી મા ગંગાનું આહ્વાન કર્યું અને પછી એ જ ગંગાના જળથી ભગવાન શિવજીની (lord shiva) પૂજાનો પ્રારંભ કર્યો.
પુરાણોમાં ઉલ્લેખ છે તે અનુસાર ભગવાન શિવજીના (lord shiva) હૃદયની સૌથી વધુ નજીક જો કોઈ હોય તો તે સ્વયં ભગવાન વિષ્ણુ છે અને એ જ રીતે જો ભગવાન વિષ્ણુના હૃદયની સૌથી વધુ નજીક જો કોઈ હોય તો તે સ્વયં ભગવાન શિવ છે. હરિહરનો તો એકબીજા સાથે ગાઢ નાતો છે. ત્યારે આ પાવનકારી શ્રાવણ માસમાં અમારે એક એવાં શિવ મંદિરની વાત કરવી છે કે જે હરિ અને હર બંન્ને સાથે જોડાયેલું છે. પોરબંદરના રાણાવાવ તાલુકામાં આવેલું બિલેશ્વર મહાદેવનું (bileshwar mahadev) મંદિર એટલે તો સ્વયં શ્રીકૃષ્ણની તપોભૂમિ અને સાથે જ અહીં મળે છે, દેવાધિદેવના હાજરાહજૂરપણાંની સાબિતી.
મંદિર માહાત્મ્ય
પોરબંદરના રાણાવાવ તાલુકામાં પાવની બીલગંગા નદીને કાંઠે બિલેશ્વર મહાદેવનું મંદિર સ્થિત છે. દેવાધિદેવ અહીં બીલનાથ મહાદેવના નામે પણ પ્રસિદ્ધ છે. સુવર્ણ રંગા શિખરથી શોભતું અને સદૈવ શ્વેત ધજાથી દીપતું આ સ્થાનક શિવભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અન્ય શિવાલયોથી ભિન્ન અહીં વિદ્યમાન મહેશ્વરનું રૂપ અત્યંત અનોખું ભાસે છે. એક વિશાળ શિલા સમાન દૃશ્યમાન થતાં આ રૂપ પર મહાદેવનું ભવ્ય મુખારવિંદ પ્રસ્થાપિત કરાયું છે. બિલેશ્વર મહાદેવનું મુખારવિંદ 25 કિલો ચાંદીમાંથી નિર્મિત છે અને તેમાં ઉપસેલી મહેશ્વરની આભા એટલી તો દિવ્ય છે કે નિહાળતા જ રહી જઈએ.
બિલેશ્વર સાથે શ્રીકૃષ્ણનો નાતો!
બિલેશ્વર મહાદેવનું શિવલિંગ સ્વયંભૂ જ મનાય છે. માન્યતા અનુસાર આ શિવલિંગ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણના હસ્તે પૂજીત છે! પ્રચલિત માન્યતા અનુસાર શ્રીકૃષ્ણએ આ જ ધરા પર મહેશ્વરની સ્વહસ્તે પૂજા કરી હતી. કહે છે કે તેનાથી પ્રસન્ન થઈ શિવજીએ શ્રીકૃષ્ણને અહીં જ સુદર્શન ચક્ર પ્રદાન કર્યું હતું. સાથે જ પુત્રપ્રાપ્તિના આશિષ પણ પ્રદાન કર્યા હતા. પ્રચલિત કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ સંતાન સુખની કામના સાથે બરડા ડુંગર પર આવ્યા હતા. તે સમયે આ સમગ્ર વિસ્તાર બિલ્વવૃક્ષોના ગાઢ વનથી ઘેરાયેલો હતો. શ્રીકૃષ્ણએ સર્વ પ્રથમ આ ભૂમિ પર આવી મા ગંગાનું આહ્વાન કર્યું અને પછી એ જ ગંગાના જળથી મહેશ્વરની પૂજાનો પ્રારંભ કર્યો. માન્યતા અનુસાર શ્રીકૃષ્ણએ સ્વયં બીલીપત્રથી અહીં મહાદેવની પૂજા કરી અને પછી પૂરા સાત માસ સુધી સવા લાખ કમળ પુષ્પ અર્પણ કરવાનું અનુષ્ઠાન કર્યું.
શિવજીએ પ્રસન્ન થઈ શ્રીકૃષ્ણને દર્શન દીધા. ત્યારે શ્રીકૃષ્ણએ શિવજી પાસે સંતાનની મનશા અભિવ્યક્ત કરી. કહે છે કે મહાદેવે શ્રીકૃષ્ણને જાંબુવતીથી પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને સાથે જ સુદર્શન ચક્ર પણ ભેટ આપ્યું. એક વાયકા અનુસાર બિલેશ્વર મહાદેવ સ્વયં શ્રીકૃષ્ણના હસ્તે સ્થાપિત છે તો એક માન્યતા અનુસાર શિવલિંગ તો શ્રીકૃષ્ણના પહેલાથી અસ્તિત્વમાં છે પણ આ શિવલિંગની સર્વ પ્રથમ પૂજા સ્વયં શ્રીકૃષ્ણએ કરી હતી. એ જ કારણ છે કે અહીં દર્શન માત્રથી હરિહર બંન્નેના આશિષની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રચલિત છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)