ભારતની ભૂમિ પર સૂર્ય ઉપાસનાનો (surya upasana) સવિશેષ મહિમા છે. શ્રદ્ધાળુઓ આસ્થા સાથે સૂર્યદેવને (lord surya) અર્ઘ્ય અર્પણ કરીને પુણ્યનું ભાથું બાંધતા હોય છે. પરંતુ, ઘણાં ઓછાં લોકો એ જાણે છે કે સૂર્યની જેમ જ ચંદ્રમાને (lord chandra) પણ અર્ઘ્ય આપવાનું મહત્વ છે. સારી નોકરી માટે, ઝડપથી ધનવાન બનવા, જલ્દી વિવાહ કરવા માટે, પ્રોપટી વધારવા માટે, સારી તંદુરસ્તી માટે તેમજ જીવન સાથે જોડાયેલી દરેક પ્રકારની સમસ્યાનું નિવારણ લાવવા માટે અર્ઘ્ય અર્પણ કરવાનું મહત્વ છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે કઈ સમસ્યાથી મુક્તિ અર્થે કોને, ક્યારે અને કેવી રીતે અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ ?
સૂર્ય ઉપાસના ક્યારે જરૂરી ?
⦁ પિતૃદોષના ખરાબ પરિણામો મળી રહ્યા હોય.
⦁ ઘરમાં સતત બીમારીનું સામ્રાજ્ય રહેતું હોય.
⦁ પરિવારમાંથી સુખ-શાંતિ દૂર થઇ ગઈ હોય.
⦁ વારસાઈની મિલકત મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય.
વારસાઈની મિલકત માટે
જો તમને વારસાઈની મિલકત મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોય, તો તાંબાના કળશમાં જળ ભરીને તેમાં ચપટી લાલ ચંદન અને કુમકુમ ઉમેરવું. ત્યારબાદ નિત્ય સવારે ગાયત્રી મંત્રનો જાપ કરતા સૂર્યનારાયણને ત્રણ વાર અર્ઘ્ય અર્પણ કરો. સાથે આ મંત્ર બોલો. ।। ૐ બ્રહ્મા સ્વરૂપિણે સૂર્યનારાયણાય નમ: ।।
કુંડળી દોષ
કુંડળીમાં જો સૂર્યના કારણે ગ્રહ દોષ લાગી રહ્યો હોય તો સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો.
લગ્નમાં અવરોધ
રવિવારે સૂર્યનારાયણને કાચા દૂધમાં જળ મિશ્રિત કરીને અર્ઘ્ય અર્પણ કરવાથી લગ્નમાં આવતા અવરોધ ટળે છે.
પિતૃદોષથી મુક્તિ
પિતૃદોષના ખરાબ પ્રભાવને દૂર કરવા તાંબાના કળશમાં જળ ભરીને સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું જોઇએ.
બીમારી કે અકાળ મૃત્યુથી રક્ષા
બીમારી કે અકાળ મૃત્યુથી બચવા માટે ઘરમાં ગીતાના 7માં અધ્યાયનો પાઠ કરવો જોઇએ. સાથે જ તેનો મર્મ પણ સમજવો જોઇએ. ત્યારબાદ સૂર્યનારાયણને જળથી અર્ઘ્ય અર્પણ કરો.
ચંદ્ર ઉપાસના ક્યારે જરૂરી ?
⦁ જો તમારું વૈવાહિક જીવન સારું ન ચાલી રહ્યું હોય.
⦁ આપની માતાને કષ્ટ સતાવતું હોય કે શારિરીક સમસ્યા રહેતી હોય.
⦁ તમે સતત નકારાત્મક વિચારોથી ઘેરાયેલા રહેતા હોવ.
⦁ મન ચંચળ હોય, એકાગ્રતાની ઉણપ હોય અને મનમાં હંમેશા નકારાત્મક વિચારો જ આવતા હોય.
⦁ પોતાના લોકો માટે નકારાત્મક વિચારો આવતા હોય.
⦁ અસુરક્ષાની ભાવના હંમેશા સતાવતી હોય અને ભવિષ્ય માટે સતત ભય સતાવતો હોય. આ સંજોગોમાં ચંદ્ર ઉપાસના કરવી અત્યંત જરૂરી બની જાય છે.
ચંદ્ર દેવતાને અર્ઘ્ય
પૂનમની રાત્રે કાચા દૂધમાં આખા ચોખા મિશ્રિત કરીને ચંદ્રમાને અર્ઘ્ય આપવું જોઇએ. તેનાથી વ્યક્તિને ચંદ્રદોષમાંથી મુક્તિ મળે છે.
નકારાત્મક વિચારોથી મુક્તિ
મનમાં હંમેશા નકારાત્મક વિચારો જ આવતા હોય તેમણે સવાર-સાંજ ।। ૐ સોમ સોમાય નમઃ ।। મંત્રના ઓછામાં ઓછા 24 મિનિટ જાપ કરવા જોઇએ અને ત્યારબાદ ચંદ્રમાને અર્ઘ્ય આપવું જોઇએ. સાથે જ માતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને તેમને માન સન્માન આપવું જોઈએ.
આર્થિક સમસ્યાનું સમાધાન
જો તમારે પૈસા સાથે જોડાયેલા દરેક કાર્યોમાં અવરોધ આવતા હોય તો તમારે પૂનમની રાત્રે ચંદ્રમાના ઉદય પછી કાચા દૂધમાં મિસરી તેમજ આખા ચોખા ઉમેરી ચંદ્રમાને અર્ઘ્ય અર્પણ કરવું.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)