સિદ્ધાર્થ કેવી રીતે બન્યા બુદ્ધ ? જાણો બુદ્ધ પૂર્ણિમાનો મહિમા
ભગવાન બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થના જન્મના કેટલાક દિવસ પછી તેમની માતા મહામાયાનું નિધન થઇ ગયુ. ત્યારબાદ માતાની બહેન ગૌતમીએ તેમનું પાલનપોષણ કર્યું. જેમના નામ પરથી જ સિદ્ધાર્થનું નામ ગૌતમ પડ્યું.
વૈશાખ માસની પૂર્ણિમાને (baisakhi purnima) બુદ્ધ પૂર્ણિમા (buddha purnima) પણ કહેવામાં આવે છે. માન્યતા એવી છે કે આ તિથિ પર ભગવાન બુદ્ધનો (lord buddha) જન્મ થયો હતો. તેમજ જે દિવસે ભગવાન બુદ્ધને બોધિગયામાં (bodhigaya) જ્ઞાન પ્રાપ્ત થયુ હતું, તે દિવસ પણ વૈશાખી પૂર્ણિમાનો જ હોવાનું મનાય છે. આ વખતે 16 મે, સોમવારે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી થશે. ત્યારે આવો, પરમશાંતિ તરફ લઈ જતી તેમની જીવનયાત્રાને સમજવાનો પ્રયત્ન કરીએ.
બુદ્ધ પૂર્ણિમાના અવસરે ભગવાન બુદ્ધના અનુયાયીઓ વિશેષ પ્રાર્થના કરતા હોય છે અને જ્યાં જ્યાં ભગવાન બુદ્ધના મઠો કે સ્થાનકો છે ત્યાં વિશેષ આયોજન પણ કરવામાં આવે છે. ભગવાન બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર પણ માનવામાં આવે છે. જો કે આ વાતને લઇને લોકોમાં મતમતાંતર છે. પરંતુ, બુદ્ધથી જ બૌદ્ધ ધર્મનો ઉદય થયો છે અને એ માત્ર ભારત જ નહીં, પરંતુ અન્ય દેશોમાં પણ પ્રસાર પામ્યો છે. આજે પણ તેના કેટલાક પ્રમાણ શ્રીલંકા, નેપાળ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન વગેરે દેશોમાં જોવામાં આવે છે. તો ચાલો જાણીએ બુદ્ધના જીવન સાથે જોડાયેલી ખાસ વાતો.
બુદ્ધના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો આપણને જીવન જીવવાની સાચી રીત દર્શાવે છે. માન્યતા છે કે ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ. પૂર્વે 563માં રાજા શુદ્ધોધનના પુત્રના રૂપમાં થયો હતો. આ સ્થાન આજે નેપાળના લુંબિનીમાં સ્થિત છે. ભગવાન બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. સિદ્ધાર્થના જન્મના કેટલાક દિવસ પછી તેમની માતા મહામાયાનું નિધન થઇ ગયુ. ત્યારબાદ માતાની બહેન ગૌતમીએ તેમનું પાલનપોષણ કર્યું. જેમના નામ પરથી જ સિદ્ધાર્થનું નામ ગૌતમ પડ્યું.
સિદ્ધાર્થના જન્મ સમયે જ રાજજ્યોતિષીએ ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મોટો થઇને વૈરાગ્ય લેશે અને બહુ જ મોટા સંત મહાત્મા બનશે. દુનિયા તેના બતાવેલા માર્ગ પર ચાલશે. પુત્ર ખરેખર સંસાર છોડી સંત ન બની જાય તે માટે પિતા શુદ્ધોધને તેમને દુઃખથી દૂર રાખ્યા. સોળ વર્ષની ઉંમરમાં તેમના વિવાહ યશોધરા સાથે થયા હતા. સિદ્ધાર્થ અને યશોધરાને એક પુત્ર પણ હતો તેનું નામ રાહુલ રાખવામાં આવ્યું હતું.
એક દિવસ જ્યારે સિદ્ધાર્થ તેમના મહેલમાંથી બહાર ફરવા જઇ રહ્યા હતા ત્યારે તેમણે એક રોગી, એક વૃદ્ધ અને એક મૃત વ્યક્તિને જોઇ. તેમને જોઇને સિદ્ધાર્થના મનમાં વૈરાગ્યની ભાવના જાગી અને તેમણે સંન્યાસી માર્ગ અપનાવવાનું મનમાં નક્કી કર્યું. એક દિવસ તે ચુપચાપ તેમની પત્ની અને બાળકને છોડીને વનમાં ચાલ્યા ગયા. કેટલાય વર્ષો સુધી તેમણે તપ કર્યું.
લગભગ 35 વર્ષની ઉંમરમાં સિદ્ધાર્થ ગૌતમને બોધગયાના બોધિવૃક્ષની નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઇ અને તે બુદ્ધ કહેવાયા. ત્યારબાદ એમણે પોતાના મતનો પ્રચાર-પ્રસાર કર્યો અને લોકોને જીવન જીવવાની નવી રીત શીખવાડી. જોત જોતામાં લાખો લોકો તેમના અનુયાયી બની ગયા.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)