Garuda Purana : જાણો શ્રાદ્ધ કરવાથી શું ફાયદા થાય છે અને કેવી રીતે મળે છે પિતૃઓના આશીર્વાદ !

ગરુડ પુરાણને 18 મહાપુરાણોમાંનું એક માનવામાં આવે છે. તેમાં વ્યક્તિના જન્મ-મરણ અને મૃત્યુ બાદની પરિસ્થિતિઓ વર્ણવવામાં આવી છે. આ સાથે શ્રાદ્ધ, તર્પણ વગેરેનું મહત્વ અને તે કરવાની રીતો વિશે પણ માહિતી આપવામાં આવી છે.

Garuda Purana : જાણો શ્રાદ્ધ કરવાથી શું ફાયદા થાય છે અને કેવી રીતે મળે છે પિતૃઓના આશીર્વાદ !
Garuda Purana
| Edited By: | Updated on: Sep 19, 2021 | 2:00 PM

દર વર્ષે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓ પૃથ્વી પર આવે છે. આ દરમિયાન, તેઓ તેમના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધથી સંતુષ્ટ થાય છે અને પરિવારને આશીર્વાદ આપે છે. ગરુડ પુરાણમાં (Garuda Purana) પણ પૂર્વજોના શ્રાદ્ધને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવ્યું છે અને તેના માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, જેથી શ્રાદ્ધ કરવું અર્થપૂર્ણ બની શકે.

ગરુડ પુરાણ અનુસાર વિધિ વિધાન સાથે શ્રાદ્ધ કરવાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. શ્રાદ્ધ કરનારાની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને પરિવાર, વ્યવસાય અને આજીવિકામાં આવતા અવરોધો દૂર થાય છે અને પરિવારના સભ્યો ખૂબ પ્રગતિ કરે છે. ગરુડ પુરાણ અનુસાર શ્રાદ્ધ કરવા માટેના કેટલાક ખાસ નિયમો જાણો.

સમયનું ધ્યાન રાખવું જરૂરી

સૂર્યોદયથી બપોરના 12:24 વાગ્યા સુધીનો સમય શ્રાદ્ધ કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી, વહેલી સવારે ઉઠી સ્નાન વગેરે કરો અને શ્રાદ્ધ માટે બ્રાહ્મણ પાસે તર્પણ કરાવો. ત્યારબાદ ભગવાનનું સ્થાન અને પિતૃઓનું સ્થાન ગાયના છાણથી લીપવું જોઈએ અને ગંગાજળ છાંટી પવિત્ર કરવું જોઈએ.

શ્રાધના અધિકારીઓમાં બ્રાહ્મણ અથવા જમાઈ, ભત્રીજા વગેરે હોઇ શકે છે. તેમને એક દિવસ અગાઉથી આમંત્રણ આપો. બ્રાહ્મણો દ્વારા પિતૃઓની પૂજા કરો અને તર્પણ વગેરે કરો. ત્યારબાદ પિતૃઓ નિમિતે અગ્નિમાં ગાયનું દૂધ, દહીં, ઘી અને ખીર અર્પણ કરો. બ્રાહ્મણ કે જે કોઈને ભોજન કરાવવાનું છે તે પહેલાં ભોજનમાંથી 5 ભાગ અલગ કરો. પ્રથમ ભાગ ગાય માટે, બીજો કૂતરો માટે, ત્રીજો કાગડા માટે, ચોથો દેવતા માટે અને પાંચમો કીડી માટે બહાર કાઢો. ત્યારબાદ દક્ષિણ તરફ મુખ કરીને કુશ, તલ અને જળ લો અને સંકલ્પ કરો અને એક કે ત્રણ બ્રાહ્મણોને જમાડો.

ભોજન દરમિયાન મૌન રહો

શ્રાદ્ધનું ભોજન પ્રસન્ન ચિત્તે અર્પણ કરો. આ દરમિયાન મૌન રહો અને બ્રાહ્મણો સાથે વધારે વાત ન કરો. ભોજન અને પૂજા બાદ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો અને યથાશક્તિ દક્ષિણા આપો. આ પછી તેમને સંપૂર્ણ માન-સન્માન સાથે વિદાય આપો.

આ બાબતનું ધ્યાન રાખો

શ્રાદ્ધ દરમિયાન માત્ર સફેદ ફૂલોનો ઉપયોગ કરો. આ સમયગાળા દરમિયાન બિલ્વપત્ર, માલતી, ચંપા, નાગકેશર અને લાલ ફૂલોનો ઉપયોગ પ્રતિબંધિત છે. આ સિવાય પૂજા સામગ્રી તરીકે દૂધ, ગંગાજળ, મધ, કપડાં, તલ વગેરેનો ઉપયોગ કરો અને અભિજિત મુહૂર્તનું ધ્યાન રાખો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Anant Chaturdashi 2021: કેવી રીતે થઈ ગણેશ વિસર્જનની શરૂઆત ? જાણો, રસપ્રદ કથા અને વિસર્જન વિધિથી પ્રાપ્ત થતા આશીર્વાદ

આ પણ વાંચો : Vastu Tips: તમારી આ આદતો બની શકે છે વાસ્તુ દોષનું કારણ, વધી શકે છે આર્થિક બોજો

Follow Us