Shravan 2022: શ્રાવણ માસની પૂર્ણાહુતિ પૂર્વે કરી લો આ ખાસ કામ, મળશે હરિહરના એકસાથે આશીર્વાદ !
શ્રાવણી અમાસે (shravan amavasya) ખાસ પિતૃઓની શાંતિ અર્થે ઉપવાસ રાખવામાં આવે છે. એમાં પણ આ વખતે શ્રાવણી અમાસ અને શનિવારનો સંયોગ સર્જાયો છે. એટલે આ દિવસે પિતૃઓ માટે જરૂરથી તર્પણ કરવું.
વર્ષ દરમિયાન કુલ બાર અમાસ (amavasya) આવતી હોય છે. અધિક માસના સંજોગોમાં આ સંખ્યા તેર સુધી પહોંચી જતી હોય છે. પરંતુ, આ તમામ અમાસમાં શ્રાવણી અમાસનું (shravan amavasya) એક આગવું જ મહત્વ છે. કારણ કે, આ શ્રાવણ માસનો અંતિમ દિવસ હોઈ શિવકૃપા અર્થે સર્વોત્તમ મનાય છે. ખાસ વાત એ છે કે આજે તારીખ 27 ઓગષ્ટ, શનિવારના રોજ આ અમાસ છે. એટલે કે, અમાસ અને શનિવારનો પણ સંયોગ સર્જાયો છે. આ શનિવારી અમાસ (shanivari amavasya) અને શ્રાવણનું સાયુજ્ય વ્યક્તિને અનેક પ્રકારના પુણ્યની પ્રાપ્તિ કરાવી શકે છે. ત્યારે આવો જાણીએ કે આજે કયા કાર્ય દ્વારા તમે ન માત્ર શિવજીના પણ, ભગવાન વિષ્ણુના, શનિદેવના અને હનુમાનજીના આશિષની પણ પ્રાપ્તિ કરી શકો છો. એટલું જ નહીં, પિતૃઓની કૃપાપ્રાપ્તિ અર્થે પણ આ દિવસ શ્રેષ્ઠ મનાય છે.
ફળદાયી શ્રાવણી અમાસ
⦁ શ્રાવણી અમાસે તીર્થસ્નાનનો સવિશેષ મહિમા રહેલો છે. શક્ય હોય તો આજે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું. અને તે શક્ય ન હોય તો ગંગાનું સ્મરણ કરી ઘરમાં જ સ્નાન કરવું.
⦁ આજે સૂર્યદેવતાને જરૂરથી અર્ઘ્ય અર્પણ કરો.
⦁ પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો. તેની પૂજા કરીને પ્રદક્ષિણા ફરો. પીપળામાં ત્રિદેવનો વાસ હોવાની માન્યતા છે. અને તેના પૂજનથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેવના આશીર્વાદની પ્રાપ્તિ થાય છે.
⦁ શ્રાવણી અમાસે ખાસ પિતૃઓની શાંતિ અર્થે ઉપવાસ રાખવામાં આવે છે. એમાં પણ આ વખતે શ્રાવણી અમાસ અને શનિવારનો સંયોગ સર્જાયો છે. એટલે આ દિવસે પિતૃઓ માટે જરૂરથી તર્પણ કરવું. તેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને સંતાનોને શુભત્વના આશિષ પ્રદાન કરે છે.
⦁ શ્રાવણ માસનો અંતિમ દિવસ હોઈ આ દિવસની પૂજાનો સવિશેષ મહિમા રહેલો છે. શક્ય હોય તો આજના દિવસે ભોળાનાથને આંકડાનું ફૂલ, બીલીપત્ર કે ધતૂરો જરૂરથી અર્પણ કરવો. કહે છે કે શ્રાવણ માસના અંતિમ દિવસની પૂજા ભક્તના સઘળા મનોરથોને પૂર્ણ કરનારી સાબિત થઈ શકે છે.
⦁ શ્રાવણી અમાસના રોજ શ્રીવિષ્ણુના મંત્રોના જાપ પણ કરી શકાય છે. કારણ કે ‘હર’ની સૌથી નજીક જો કોઈ હોય તો તે સ્વયં ‘શ્રીહરિ’ છે. એટલે, શ્રાવણના અંતિમ દિવસે વિષ્ણુ મંત્રના જાપ કરવાથી કે ભગવદ્ ગીતાનું પઠન કરવાથી ‘હરિહર’ બંન્ને પ્રસન્ન થાય છે. અને વ્યક્તિને જીવનની તમામ સમસ્યાઓથી મુક્તિની પ્રાપ્તિ કરાવે છે.
⦁ અમાસના રોજ કીડીઓને કીડીયારું પૂરો અને લોટની ગોળીઓ બનાવી તે માછલીઓને ખવડાવો.
⦁ શનિવાર અને અમાસનો સંયોગ હોઈ તે શનિકૃપા માટે પણ સર્વોત્તમ અવસર છે. એટલે, આ દિવસે શનિ ઉપાસનાનો પણ મહિમા છે. આ દિવસે કોઈપણ શનિ મંદિરમાં જઈને દીપક પ્રજ્વલિત કરવો જોઈએ. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે. અને વ્યક્તિને પનોતીમાં રાહતની પ્રાપ્તિ થાય છે.
⦁ શનિદેવ તો હનુમાન પૂજાથી પણ પ્રસન્ન થનારા છે. એટલે આ દિવસે હનુમાન મંદિરે જઈને હનુમાનજીને સિંદૂર અને ચમેલીનું તેલ અર્પણ કરવું. અને જો આમાંથી કંઈ થઈ શકે એમ ન હોય તો હનુમાન ચાલીસાના પાઠ કરવા.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)