સૂતેલા ભાગ્યને પણ જગાવી દેશે દેવગુરુ બૃહસ્પતિ ! આ સરળ રીતે મેળવી લો ગુરુ ગ્રહની પ્રસન્નતા !
બૃહસ્પતિ દેવ (Jupiter) હંમેશા શુભ ફળ પ્રદાન કરનારા છે. તે કોઇપણ જાતકના જીવનમાં આવનાર નકારાત્મકતાને સકારાત્મકતામાં બદલી દે છે. બધાં જ અવરોધો ગુરુની દિવ્ય દૃષ્ટિ પડતા જ દૂર થઇ જાય છે. અને જાતકનું સૌભાગ્ય જાગી ઉઠે છે.
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં બૃહસ્પતિ ગ્રહને એટલે કે ગુરુ ગ્રહને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું છે. બૃહસ્પતિને દેવતાઓના ગુરુ માનવામાં આવે છે. અને એટલે જ તેમને ગુરુ કહેવામાં આવે છે. જ્યોતિષમાં બૃહસ્પતિને ધન અને મીન રાશિનો સ્વામી માનવામાં આવે છે. બૃહસ્પતિ જ્ઞાન અને બુદ્ધિના દાતા છે. સાથે તેને સંતાન, ધાર્મિક કાર્ય, સૌભાગ્ય અને પુણ્યનો કારક પણ માનવામાં આવે છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે કુંડળીમાં આ ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત કરીને તમે કેવી રીતે તમારા સૂતેલા ભાગ્યને પણ જગાવી શકો છો. અને જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરી શકો છો.
ગુરુ ગ્રહના શુભાશિષ
બૃહસ્પતિ દેવ હંમેશા શુભ ફળ પ્રદાન કરનારા છે. તે કોઇપણ જાતકના જીવનમાં આવનાર નકારાત્મકતાને સકારાત્મકતામાં બદલી દે છે. જેમ કે જાતકને જીવનમાં સફળતા ન મળી રહી હોય, ધંધામાં ખોટ જતી હોય, લગ્નમાં વિલંબ આવી રહ્યો હોય તો આ બધાં જ અવરોધો ગુરુની દિવ્ય દૃષ્ટિ પડતા જ દૂર થઇ જાય છે. અને જાતકનું સૌભાગ્ય જાગી ઉઠે છે. તેના દરેક અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે. જે જાતક પર બૃહસ્પતિની, એટલે કે ગુરુની કૃપા હોય તેનો ધંધો ખૂબ જ પ્રગતિ કરે છે. તેને પોતાના ઉચ્ચ અધિકારીઓ પાસેથી યોગ્ય સહકાર મળે છે. ત્યારે ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુવારનું વ્રત સવિશેષ ફળદાયી બની રહે છે.
ગુરુવારના વ્રતની વિધિ
⦁ ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે ગુરુવારના દિવસે કરવામા આવતું વ્રત એ એક મહાઉપાય છે.
⦁ ગુરુવારનું વ્રત કોઇપણ મહિનાના સુદ પક્ષના પહેલા ગુરુવારથી પ્રારંભ કરી શકાય છે.
⦁ 3 વર્ષ અથવા તો ઓછામાં ઓછા 16 ગુરુવાર આ વ્રત કરવું જોઇએ.
⦁ વ્રતના દિવસે પીળા રંગના વસ્ત્ર ધારણ કરવા જોઇએ.
⦁ છેલ્લા ગુરુવારના દિવસે કોઇ વિદ્વાન બ્રાહ્મણ પાસે યજ્ઞ કરાવવો જોઇએ અને ગાયને ગોળ અને ચણાની દાળ ખવડાવવી જોઇએ.
⦁ જો ગાય ન મળે તો તમે કોઇ કેળના વૃક્ષની નીચે ગોળ અને ચણાની દાળ રાખી શકો છો અથવા કોઇ બ્રાહ્મણને ગોળ અને ચણાનું દાન કરી શકો છો.
⦁ ગુરુવારના દિવસે દાન કરવાથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થાય છે.
⦁ ગુરુ ગ્રહથી પ્રભાવિત જાતકે પ્રત્યેક ગુરુવારના દિવસે પોતાના સામર્થ્ય અનુસાર ચણાની દાળ, ખાંડ, ધી, પીળા રંગના વસ્ત્ર, પીળા રંગના પુષ્પ, હળદર, ધાર્મિક પુસ્તક વગેરેનું દાન કરવું જોઇએ.
⦁ બૃહસ્પતિની કૃપા અર્થેનું આ દાન સાંજના સમયે કરવું સવિશેષ ફળદાયી બની રહે છે.
ફળદાયી મંત્ર
દેવગુરુ બૃહસ્પતિની પ્રસન્નતા મેળવવા માટે પીપળના વૃક્ષના લાકડાથી હવન અને ગુરુ તંત્રોત્ક મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્ર છે “ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સ: ગુરુવે નમ: ” યાદ રાખો, આ જાપ મંત્ર સિદ્ધિ અર્થે 19000 વાર મંત્રનો જાપ થાય તે જરૂરી છે.
ગુરુવારે કરો શુભ શરૂઆત !
ગુરુવારના દિવસે ધાર્મિક કાર્ય જેવા કે યજ્ઞ, કથા, પ્રવચન તેમજ ધર્મશાળાનું નિર્માણ, મઠ-મંદિરથી સંબંધિત કાર્ય, યશ પ્રાપ્ત કરાવનાર કાર્ય, વિદ્યારંભ, ગૃહ નિર્માણ, ગૃહ પ્રવેશ, તીર્થયાત્રા જેવા શુભ કાર્યો કરવા જોઇએ. તે સવિશેષ ફળદાયી અને પુણ્ય પ્રદાન કરનારા બની રહેશે.
બૃહસ્પતિના શુભ રત્ન
પોખરાજ એ ગુરુનું પ્રમુખ રત્ન છે. તેનો ઉપરત્ન છે સુનહલા. બૃહસ્પતિની શુભતા પ્રદાન કરનાર પોખરાજ ધારણ કરવાથી બળ, બુદ્ધિ, સ્વાસ્થ્ય, વ્યાપારમાં વૃદ્ધિ, દીર્ઘાયુષ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે. ગુરુની કૃપા પ્રાપ્ત કરાવનાર પોખરાજને ધારણ કરતાં પહેલા સ્નાન-ધ્યાન વગેરે કરીને પીળા રંગના પુષ્પથી તેની પૂજા કરવી જોઈએ. તેને સુદ પક્ષના ગુરુવારના દિવસે ગુરુની હોરામાં અથવા ગુરુ પુષ્ય યોગમાં પુનર્વસુ, વિશાખા, પૂર્વભાદ્રપદ નક્ષત્રમાં ધારણ કરવો જોઈએ.
હળદરની ગાંઠ
મોંઘો પોખરાજ ખરીદી શકાય તેમ ન હોય તો તેની જગ્યા પર હળદરની ગાંઠને પીળા રંગના વસ્ત્રમાં લપેટીને તમારી બાજુ પર ધારણ કરી શકો છો.
ગુરુનું શુભ ફળ
કોઇ જાતકની કુંડળીમાં જો ગુરુ ગ્રહ શુભ ફળ પ્રદાન ન કરી રહ્યો હોય તો નીચે જણાવેલ ઉપાયો અજમાવવાથી ગુરુ ગ્રહના શુભ ફળની પ્રાપ્તિ થશે.
⦁ કેસરનું તિલક લગાવો.
⦁ કેસર કે પીળા રંગના વસ્ત્રનો ટુકડો તમારી પાસે રાખો.
⦁ બદામ અને નારિયેળને પીળા રંગના વસ્ત્રમાં બાંધીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો.
⦁ પીપળાની પૂજા કરવી.
⦁ વૃદ્ધ બ્રાહ્મણને પીળા રંગના વસ્ત્રનું દાન કરો.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)