આજે જયા એકાદશીનો અવસર છે. આ અવસર શ્રીવિષ્ણુના આશિષની પ્રાપ્તિ કરાવનારો છે. વાસ્તવમાં આ દિવસે શ્રીહરિના ઉપેન્દ્ર અવતારની પૂજા કરવામાં આવે છે. ઉપેન્દ્ર અવતાર એટલે જ પ્રભુનો વામન અવતાર ! શ્રીવિષ્ણુએ વામન રૂપે જ બલી રાજા પાસેથી તેમનું સર્વસ્વ દાનમાં મેળવી લીધું હતું. એ પ્રભુ વામન જ છે જેમણે ત્રણ ડગલામાં ત્રિભુવનને માપી લીધું હતું. એટલે કે એવું કશું જ નથી જે તે તમને પ્રદાન ન કરી શકે. એમાં પણ જે લોકો સતત આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા હોય, તે લોકો આજે વિશેષ ત્રણ ઉપાય અજમાવીને ધનનું સુખ પ્રાપ્ત કરી શકે છે. ત્યારે આવો જાણીએ કે કયા છે આ ઉપાય ? અને સાથે જ એ પણ જાણીએ કે આજના દિવસે શું ભૂલથી પણ ન કરવું જોઈએ ?
જો તમે સતત આર્થિક સંકટમાં ઘેરાયેલા હોવ તો આજે શ્રીહરિની પૂજા સમયે શ્રીવિષ્ણુ સન્મુખ 16 વાટનો ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરો. આ સમયે શ્રીવિષ્ણુના ઉપેન્દ્ર અવતાર એટલે કે વામન અવતારનું સ્મરણ કરો અને ત્યારબાદ વિષ્ણુ ચાલીસાના પાઠ કરો. માન્યતા અનુસાર આ ઉપાયથી આપની આર્થિક તંગી ખૂબ જ ઝડપથી દૂર થશે.
જયા એકાદશીએ ગંગાજળ મિશ્રિત જળથી સ્નાન કરવું. ત્યારબાદ તાંબાના કળશમાં ગંગાજળ, દૂધ, અત્તર ઉમેરીને તુલસીને અર્પણ કરવું. સાંજના સમયે શુદ્ધ ઘીનો દીવો પ્રજવલિત કરી “ૐ વાસુદેવાય નમઃ” મંત્રનો 108 વાર જાપ કરો અને તુલસીજીની 11 વાર પરિક્રમા કરો. માન્યતા અનુસાર તેનાથી ઘરમાં ધન, સુખ અને શાંતિનું આગમન થશે.
જયા એકાદશીના દિવસે વ્રત કરી નિશિતા કાળના મુહૂર્તમાં (મધ્યરાત્રિના શુભ મુહૂર્તમાં) વિશેષ પૂજા કરો. ભગવાન વિષ્ણુના 24 અવતારનું સ્મરણ કરતા કરતા તેમને એક એક પીળા રંગનું પુષ્પ અર્પણ કરો. બીજા દિવસે આ પુષ્પને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી તમે શત્રુ પર વિજયની પ્રાપ્તિ કરી શકો છો અને દરેક કાર્યમાં સફળતાની સાથે આર્થિક સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરી શકો છો.
⦁ જો તમે આજે ઉપવાસ કરી શકો તેમ ન હોવ તો એકટાણું કરો. પરંતુ, એકટાણામાં માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરો. આ દિવસે ડુંગળી, લસણ, રીંગણ, મદ્યપાન, પાન, સોપારી કે તમાકુનું સેવન ન કરવું જોઇએ.
⦁ આ દિવસે ભૂલથી પણ જુગાર ન રમવો જોઇએ. કહે છે કે તેનાથી જે-તે વ્યક્તિના વંશનો નાશ થાય છે.
⦁ માન્યતા અનુસાર આ પવિત્ર દિવસે જે વ્યક્તિ ચોરી કરે છે, તેની 7 પેઢીને તેનું ફળ ભોગવવું પડે છે. એટલે, આવાં દુષ્કૃત્યથી સદૈવ દૂર જ રહેવું.
⦁ આજના દિવસે કઠોર વાણીનો બિલ્કુલ પણ પ્રયોગ ન કરવો જોઈએ. તેનાથી આપે શ્રીવિષ્ણુના કોપનો ભોગ બનવું પડી શકે છે.
⦁ શક્ય હોય ત્યાં સુધી આજના દિવસે ઘરે આવેલ સાધુ-સંત કે કોઈ જરૂરિયાતમંદને ખાલી હાથે પાછા ન મોકલવા જોઇએ. તમારી ક્ષમતા અનુસાર તેમને અન્ન, ધન કે વસ્ત્રનું દાન કરવાથી પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)