
અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન ગુજરાતવાસીઓ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી તેજ બનતા હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નૈઋત્ય ચોમાસું દક્ષિણ ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી સાત દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં નૈઋત્ય ચોમાસું મેંગ્લોર સુધી પહોંચી ગયું છે અને તેની ગતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ પ્રવેશ કરી શકે છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થવાની સંભાવના છે.
વિભાગે વધુમાં જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી ત્રણ અલગ-અલગ સિસ્ટમોના કારણે આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે. જોકે, વરસાદની સંભાવના વચ્ચે તાપમાનમાં કોઈ મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતા હાલ ઓછી છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહી શકે છે.
રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આમ, ચોમાસાના આગમન પહેલા ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે, પરંતુ છૂટાછવાયા વરસાદના કારણે લોકોને ગરમી અને બફારાથી આંશિક રાહત મળી શકે છે.
આ પણ વાંચો- 08 જૂનના મહત્વના સમાચાર : ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી