Surendranagar: Amphotericin B ઈન્જેક્શનની કાળા બજારી કરતા 20 ઈન્જેક્શન સાથે 2ની ધરપકડ

|

Jun 13, 2021 | 10:55 PM

ઇન્જેક્શનના ગોરખ ધંધામાં શહેરના અનેક લોકોના નામો ખુલે તેવી પોલીસનું માનવું છે. આ ઇન્જેક્શન નકલી છે કે અસલી તેની તપાસ માટે ડ્રગ્સ વિભાગને પુથ્થકરણ માટે મોકલી આપ્યા છે.

Surendranagar: ઝાલાવાડમાં કોરોનાના કેસ ઘટતા લોકોમાં થોડી રાહત થઈ હતી, પરંતુ સામે મ્યુકર માઈકોસીસ (Mucormycosis)ના કેસો વધતા ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આ રોગને કાબુમાં લેવા દર્દીને આપવામાં આવતા એમ્ફોટેરિસીન બી (Amphotericin B) ઈન્જેક્શનનો કાળો કારોબાર જામ્યો છે. કાળાબજારી કરી રહેલા બે આરોપીઓને શહેર એ. ડીવીઝન પોલીસે 20 ઈન્જેક્શન સાથે ઝડપી લીધા છે.

 

 

સુરેન્દ્રનગર જીલ્લામાં વર્તમાન સમયે મ્યુકર માઈકોસીસના કેસો વધી રહ્યા છે. આ રોગની સારવાર માટે LOPOSOMAL AMPHOTERICIN-B ઈન્જેક્શન ખુબ જ મહત્વના હોય છે. પરંતુ દર્દીઓમાં આ ઈન્જેક્શનની માંગ વધુ હોવાથી કેટલાક શખ્સો કાળા બજારી કરી રૂપિયા રળી લેવાની લાહયમાં માનવતા નેવે મુકી દીધી છે.

 

Amphotericin B ઈન્જેક્શનની કાળાબજાર કરી વધુ રૂપિયા પડાવી લોકોની મજબુરીનો લાભ લેતા પણ લોભિયા અચકાતાં નથી. આ સારવાર માટે દર્દીને ઈન્જેક્શન આપવા જરૂરી હોય છે, ત્યારે દર્દીઓના સગાઓ પણ આવા કાળાબજારી કરતા લોકોનો ભોગ બને છે અને મોંઘા ભાવે ઈન્જેક્શન ખરીદતા કરતા હોય છે.

 

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ આવો જ એક ગોરખ ધંધો ચાલતો હોવાની પોલીસને જાણ થતા બાતમીદારોને કામે લગાડી અને તપાસ કરતા આ ગોરખ ધંધા શહેરના સી.જે. રોડ પર ચાલતો હોવાનું જાણવા મળ્યું. જેથી પોલીસની વોચ દરમિયાન શહેરમાંથી લીંબડી ખોડીયારનગરમાં રહેતા દલસુખ જેરામભાઈ પરમારને દબોચી તેની તલાસી લેતા મ્યુકરમાઈકોસીસની સારવારના 20 ઈન્જેક્શન મળી આવ્યા હતા.

 

પોલીસે તેની પુછપરછ કરતા તેણે આ ઈન્જેક્શન હરસિધ્ધી પાર્કમાં રહેતા સમીર અબ્દુલભાઈ મનસુરી પાસેથી રૂપિયા 9 હજાર લેખે ખરીદ્યા હતા. જેથી પોલીસે છાપો મારી આરોપી સમીરને પણ ઝડપી લીધો હતો અને પુછપરછ હાથ ધરી હતી અને બન્ને આરોપીઓની અટકાયત કરી અને આ ઈન્જેક્શન કયાંથી લાવ્યા અને કોને કોને વેચ્યા, તેમજ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની તપાસ હાથ ધરી છે.

 

હજુ આ મ્યુકર માઈકોસીસ ઈન્જેક્શનના ગોરખ ધંધામાં શહેરના અનેક લોકોના નામો ખુલે તેવી પોલીસનું માનવું છે. હાલ તો દર્દીઓને લુંટતા આ બન્ને આરોપીઓ દલસુખ જેરામભાઈ પરમાર અને સમીર અબ્દુલભાઈ મનસુરીને ઝડપી પુછપરછ હાથ ધરી છે. તેમજ આ ઈન્જેક્શન નકલી છે કે અસલી તેની તપાસ માટે ડ્રગ્સ વિભાગને પુથ્થકરણ માટે મોકલી આપ્યા છે.

 

આ પણ વાંચો: Banaskantha: વડગામના મેમદપુર ગામનો જવાન ફરજ દરમિયાન શહિદ, ભેખડ ધસી પડતા સર્જાઈ હતી દુર્ઘટના

Next Video