ભક્તોની ભીડ વચ્ચે કેદારનાથના દરવાજા ખુલ્યાં, 108 ક્વિન્ટલ ફૂલોથી શણગાર્યું બાબાનુ ધામ
Kedarnath Temple: બાર જ્યોતિર્લિંગોમાંના એક ઉત્તરાખંડના કેદારનાથ ધામના દરવાજા આજે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. હિમાલયની પર્વતમાળામાં આવેલ આ મંદિરને દેશ-વિદેશથી લાવવામાં આવેલા 108 ક્વિન્ટલ વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આખું કેદારનાથ ધામ 'હર-હર મહાદેવ' અને 'ઓમ નમઃ શિવાય' ના નારાથી ગુંજી ઉઠ્યું.
Kedarnath Temple: આજે 2 મે 2025 ના રોજ, વૃષભ લગ્નમાં સવારે 7 વાગ્યે શુભ મૂહર્તમાં, ઉત્તરાખંડમં હિમાલય પર્વતમાળામાં આવેલ કેદારનાથ મંદિરના દરવાજા ભાવિક ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. હંમેશની જેમ, આ વખતે પણ, મંદિરના દરવાજા ખુલતા પહેલા, ભક્તોની ભારે ભીડ દેવાધિદેવ મહાદેવના દર્શન માટે પહેલેથી જ ઉભી હતી. કેદારનાથ ધામના કપાટ ખોલવાના પ્રસંગે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ કેદારનાથ ધામ સંકુલમાં ઉપસ્થિત હતા.
કેદારનાથ ધામ બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે અને ઉત્તરાખંડમાં સ્થિત ચાર ધામ યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દર વર્ષે શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે મંદિરના દરવાજા બંધ થઈ જાય છે અને અક્ષય તૃતીયાના પવિત્ર તહેવારની આસપાસ શુભ સમય જોયા પછી તેને ફરીથી ભાવિક ભક્તો માટે ખોલવામાં આવે છે. દરવાજા ખોલવાની પ્રક્રિયામાં વિવિધ પરંપરાગત ધાર્મિક વિધિઓનો સમાવેશ થાય છે.
દરવાજા ખોલવાની સાથે, હજારો ભક્તો બાબા કેદારના દર્શન કરવા માટે ધામ પહોંચ્યા છે. આ શુભ પ્રસંગ માટે મંદિર અને તેની આસપાસના પરિસરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે. ધામને સજાવવા માટે લગભગ 108 ક્વિન્ટલ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેદારનાથ ધામ રુદ્રપ્રયાગ જિલ્લામાં સમુદ્ર સપાટીથી 11,000 ફૂટથી વધુ ઊંચાઈ પર સ્થિત છે.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો