અહીં વીડિયોંમાં પહેલા તો આપ દૃશ્યો જુઓ. …અંદાજ લગાવી શકાય ખરા કે આ કહેવાતા વિકાસશીલ રાજ્યના મુખ્ય શહેરોમાંનું એક શહેર છે. વરસાદ પડે અને પાણી ભરાય એ તો સામાન્ય વાત છે પરંતુ વરસાદ અટક્યા બાદના કલાકો પછી પણ પાણી ઓસરી નથી રહ્યા. વિશ્વામિત્રીનું પાણી પણ ભયજનક સપાટીએ છે અને તેના પાણી પણ અનેક વિસ્તારોમાં ફરી વળ્યા છે. એટલે આખી સમસ્યા વધુ વિકરાળ લાગી રહી છે. બીજી તરફ ડભોઇના 6 ગામોમાં ઘુસ્યા ઢાઢર નદીના પાણી.
દેવડેમમાંથી પાણી છોડાતા ડભોઇના ગામોને અસર પહોંચી છે. ડભોઇથી વાઘોડિયાનો રસ્તો બંધ કરતા વાહન ચાલકો અટવાયા હતા તો દેવ અને ઢાઢર નદીના પાણી ફરી વળતા અન્ય 14 ગામોને અસર થઈ છે. દંગીવાડા, બંબોજ, પ્રયાગપુરામાં રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યું. આ તરફ પાલિકાનો કરોડોનો પ્લાન પાણીમાં જાણે કે ધોવાઈ ગયો. વડોદરાવાસીઓને સવાલ થાય કે પ્લાન બને છે તો પછી કેમ ડુબે છે શહેર?
આ સવાલ દરેક વડોદરાવાસી પુછી રહ્યાં છે કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ કેમ?? એવું નથી કે તંત્રને પાણી ભરાતા હોવાની જાણ ન હોય. છતાં એકની એક સમસ્યા લોકો વર્ષોથી ભોગવી રહ્યાં છે. તેમાં પણ વિશ્વામીત્રીમાં તો મગરનું જોખમ હોય છે ત્યારે જો કોઈના જીવને જોખમ સર્જાયું તો પછી જવાબદાર કોણ? આ સવાલ પણ થવો ખુબ જ સ્વભાવિક છે.
લોકોનું કહેવું છે કે વિશ્વામિત્રીનું જોખમ એન્ક્રોચમેન્ટના લીધે વધી રહ્યું છે. પ્રશાસન કંઈ કરી નથી રહ્યું. જોકે તંત્ર જાણે છે કે જોખમ છે અને તે સતત વધી રહ્યું છે. એટલે હવે પ્રશાસન રહી રહીને કામગીરી કરીને પોતે સજ્જ છે તેવું દાખવવાનો પ્રયત્ન કરતું હોય તેવું લાગી રહ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 6:32 pm, Thu, 25 July 24