વિકાસના નામે ભ્રષ્ટાચારનો ‘મોટો ખેલ’… નવા સિમેન્ટ રોડમાં લોકાર્પણ પહેલાં જ તિરાડો, તંત્રનું ‘પાપ’ ખુલ્લું પડ્યું
રાજકોટના ધોરાજીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લાખો રૂપિયાના ખર્ચે બનેલા નવા રસ્તાઓ લોકાર્પણ થાય તે પહેલાં જ બિસ્માર થઈ ગયા છે. સિમેન્ટના રોડમાં તિરાડો પડતાં જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થયો હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટના ધોરાજીમાં થોડા દિવસ પહેલાં જ બનાવવામાં આવેલા રસ્તાઓમાં તિરાડો પડતાં વિકાસની કામગીરી સવાલોના ઘેરામાં આવી છે. ધોરાજીમાં અનેક જગ્યાએ થઈ રહેલા રોડ નિર્માણના કામોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આ રસ્તાઓ લોકાર્પણ થાય તે પહેલાં જ જર્જરીત થઈ ગયા છે.
સિમેન્ટના રોડમાં નબળી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાના આક્ષેપો સાથે લોકોનું કહેવું છે કે, લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા રસ્તાઓમાં અત્યારથી જ તિરાડો પડવા લાગી છે, જેના કારણે વિકાસના કામોની ગુણવત્તા અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે, વિકાસના નામે જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે અને રસ્તાની કામગીરી યોગ્ય રીતે કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
આ મામલે ભાજપના આગેવાનનું કહેવું છે કે, જો કામમાં કોઈ ખામી જણાશે તો ઉચ્ચ સ્તરે તપાસ કરવામાં આવશે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
