ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : રાજ્યની બીજા તબક્કાની 93 બેઠકની 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાઈ હતી. બીજા તબક્કામાં 93 બેઠક પર 64.39 ટકા મતદાન થયું છે. જેમાં મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષો હવે જીતના દાવા કરી રહ્યા છે. ત્યારે આ વચ્ચે હવે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડનારા મધુ શ્રીવાસ્તવે પણ મીડિયા સમક્ષ જીતનો દાવો વ્યક્ત કર્યો છે. મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ જણાવ્યુ છે કે ચૂંટણીમાં જીતીશ તો પણ અપક્ષમાં જ રહીશ અને કોઈ પાર્ટીમાં જોડાવુ કે નહીં તે અંગે મારા કાર્યકર્તા કહેશે તે પ્રમાણે નિર્ણય લઇશ.
મધુ શ્રીવાસ્તની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ભાજપે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યાં હતા. જે પછી મધુ શ્રીવાસ્તવે ટિકિટ કપાતા તેમણે ભાજપમાંથી રાજીનામુ આપી દીધુ હતુ. ત્યારે દબંગ નેતા તરીકેની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે વાઘોડીયા બેઠક પર અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે બીજા તબક્કામાં વડોદરામાં મતદાન પૂર્ણ થયા બાદ મધુ શ્રીવાસ્તવે જીતનો દાવો કર્યો છે. સાથે જ મધુ શ્રીવાસ્તવે કહ્યુ હતુ કે જો હું ચૂંટણીમાં જીતીશ તો પણ અપક્ષમાં જ રહીશ. કોઈ પાર્ટીમાં જોડાવુ કે નહીં તે અંગે મારા કાર્યકર્તા કહેશે તે પ્રમાણે નિર્ણય લઇશ. મારા વિસ્તારના 20 ટકા કામ બાકી છે તે પૂર્ણ કરવાના છે અને મારે તો એકલા હાથે લડવું છે. મારે કોઈનો સાથ નથી જોઈતો, મને બજરંગ બલીનો સાથ છે.
વાઘોડીયા બેઠક પર ભાજપમાંથી અશ્વિન પટેલને ટિકિટ મળતા મધુ શ્રીવાસ્તવ નારાજ હતા. વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. ત્યારે મધુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી ચૂંટણી લડશે તો આદિવાસી મતોનો ભાજપને ફટકો પડે તેવી શક્યતા છે.