ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય બોર મહોત્સવ ઉજવાયો હતો. જેમાં વરસોલા ગામના ખેડૂતોએ અઢી હજાર કિલો બોર ભગવાનને ધરાવ્યા છે.મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે બોરનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.મહત્વપૂર્ણ છે કે વરસોલા ગામના ખેડૂતોએ પોતાના ખેતરોમાં બોરડીની ખેતી કરતા પહેલા બાધા લીધી હતી.જે બાધા પૂર્ણ થતા પહેલા ફાલમાં જેટલો બોરનો પાક થયો તે વડતાલ મંદિરમાં પ્રસાદ રૂપે ધરાવ્યો છે.તો સામે મંદિર દ્વારા પણ આ બોરના પ્રસાદને આસપાસના ગરીબ,ઘરડા ઘર તેમજ ચાઇલ્ડ હોમમાં વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ફૂટપાથ પર રાતવાસો કરતાં દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ કરાયું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કડકતી ઠંડીમાં ફૂટપાથ પર રાતવાસો કરતાં દરિદ્ર નારાયણોને દર વર્ષની જેમ આ વર્ષે પણ આણંદ, વિદ્યાનગર, બાકરોલ, પેટલાદના રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ તથા જાહેર રોડ પર સૂતેલા લોકોને સંતો દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.
વડતાલ મંદિરના કોઠારી ડૉ.સંત વલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવ હિતાવહનો સંદેશ આપ્યો છે. વડતાલ સંસ્થા દ્વારા અવિરત સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. જેમાં ઉનાળામાં ચપ્પલ વિતરણ, કુદરતી આપત્તિમાં ભોજન, તેમજ જરૂરિયાતની વસ્તુઓની વિતરણ તેમજ વડતાલમાં આવેલ શ્રી સ્વામિનારાયણ નિ:શુલ્ક હોસ્પિટલ કે જેમાં કેશ કાઉન્ટર જ નથી. અહીંયા સારવાર લેતા દર્દી સાથે તેમના સંબંધીને પણ નિ:શુલ્ક રહેવા તથા જમવાની સુવિધા અપાય છે.