Video: ધોરાજીમાં અત્યારથી ચેકડેમોના દેખાવા લાગ્યા તળિયા, ખેડૂતોએ સૌની યોજના દ્વારા ડેમ ભરવાની કરી માગ

|

Feb 05, 2023 | 9:22 PM

Rajkot: ધોરાજીમાં ચેકડેમોના તળિયા અત્યારથી દેખાવા લાગતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોએ સૌની યોજના દ્વારા ચેકડેમો અને તળાવો ભરવાની માગ કરી છે. ખેડૂતોની માગ છે કે જો અત્યારે ચેકડેમો નહીં ભરવામાં આવે તો ઉનાળુ પાક પણ નિષ્ફળ જશે.

ધોરાજીના ખેડૂતો સતત ત્રણ વર્ષથી કુદરતી અને માનવસર્જિત આફતોનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોને સતત નુકસાનીનો માર સહન કરવો પડે છે. કુદરતી આફતોએ ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યુ છે. આટલુ ઓછુ હોય તેમ આ વર્ષે પણ શિયાળુ પાકમાં આવેલા રોગચાળાને કારણે પાકનું ઉત્પાદન ઘટ્યુ છે. જેથી ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

એક બાદ એક કુદરતી આફતોનો માર સહન કરી રહેલા ધોરાજીના ખેડૂતોની ચિંતા ઓછી થવાનુ નામ નથી લઈ રહી. ચિંતાનો વિષય એ પણ છે કે ધોરાજી પંથકના ચેકડેમો પણ ખાલીખમ છે. ચેકડેમના તળિયા દેખાવા લાગ્યા છે. ખેડૂતો ઉનાળામાં તલ, ઉનાળુ બાજરી, જુવાર અને મકાઈનું વાવેતર કરશે પરંતુ ચેકડેમ ખાલી છે તો પાણી ક્યાંથી મળશે, તેની ચિંતા પણ ખેડૂતોને સતાવી રહી છે. આથી ખેડૂતો સૌની યોજના થકી ધોરાજીના ચેકડેમો અને તળાવો ભરવામાં આવે તેવી માગ ધોરાજીના ધરતીપુત્રો કરી રહ્યા છે.

આ પણ વાંચો: Rajkot: ધોરાજીમાં કમોસમી વરસાદથી શિયાળુ પાકને ભારે નુકસાન, ખેડૂતો ચિંતિત

ખેડૂતો ચેકડેમના પાણી પર આધાર રાખીને બેઠા છે. તેમને આશા છે કે સરકાર તેમની સમસ્યા સમજીને ઝડપથી ઉકેલ લાવશે. તો ઉનાળુ પાક નિષ્ફળ જતા બચી જશે. આ તરફ ડુંગળીના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થવાના કારણે ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે.

આંકડાઓની વાત કરીએ તો એક વીઘામાં ડુંગળીના વાવેતરનો ખર્ચ 18થી 20 હજાર રૂપિયા જેટલો થાય છે. પરંતુ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હોવાથી એક જ અઠવાડિયામાં પ્રતિમણ ડુંગળીના ભાવમાં 50થી 70 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. એક અઠવાડિયા પહેલા જે ડુંગળી 250થી 300 રૂપિયાએ મળતી હતી, તેનો ભાવ આજે 200થી 250 થઈ ગયો છે.

ઈનપુટ ક્રેડિટ- હુસેન કુરેશી- ધોરાજી

Next Video