અરે રે ! વલસાડમાં નવ પરણિત યુગલને જેલમાં જ વિતાવવી પડી સુહાગરાત, જાણો શું છે કારણ

|

Jan 25, 2022 | 2:57 PM

કહેવાય છે કે લગ્નના દિવસે વરરાજા પાણી માગે તો દૂધ મળી જાય, પરંતુ વલસાડના વરરાજાને ક્યારેય કલ્પ્યો ન હોય તેવો અનુભવ થયો. વલસાડમાં વરરાજા અને કન્યાને લગ્નની આખી રાત જેલમાં વીતાવવી પડી.

વર-કન્યાના લગ્ન શાંતિપૂર્ણ રીતે થઇ ગયા હોય, તેમ છતા વર-કન્યાનને સુહાગરાત પોલીસ સ્ટેશન (Police station)માં વિતાવવી પડે તો ? આ વાત જાણીને ચોક્કસ નવાઇ વાગશે, પરંતુ વલસાડ (Valsad)માં નવ પરણિત યુગલ સાથે આવુ જ કઇક બન્યુ. વલસાડના એક વરરાજા અને દુલ્હનને લગ્નની રાતે જીવનનો સૌથી કડવો અનુભવ થયો.

કહેવાય છે કે લગ્નના દિવસે વરરાજા પાણી માગે તો દૂધ મળી જાય, પરંતુ વલસાડના વરરાજાને ક્યારેય કલ્પ્યો ન હોય તેવો અનુભવ થયો. વલસાડમાં વરરાજા અને કન્યાને લગ્નની આખી રાત જેલમાં વીતાવવી પડી. એટલુ જ નહીં તેમની સાથે 35 જેટલા જાનૈયાઓએ પણ આખી રાત જેલમાં રહેવુ પડ્યુ. ઘટના કઇક એમ બની હતી કે વરરાજા અને કન્યાના લગ્ન તો સવારે જ થઇ ગયા હતા. પરંતુ જાનની વિદાય થઇ નહોતી.

કોરોનાના કેસ વધતાં રાજ્ય સરકારે મહાનગરો સહિત કેટલાક નાના શહેરોમાં પણ રાત્રી કરફ્યૂ લગાવેલો છે. વલસાડમાં પણ કોરોના કેસના પગલે રાત્રિ કરફ્યૂ લગાવેલો છે. ત્યારે 25 જાન્યઆરી એટલે આજે રાત્રિ કરફ્યૂ દરમિયાન પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે સમય દરમિયાન પોલીસે વરરાજા અને દુલ્હન સહિત જાનૈયાઓને જતા જોયા હતા. જે પછી પોલીસે વરરાજા અને દુલ્હન સહિત 35 લોકો વિરૂદ્ધ કરફ્યૂનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરી.

વરરાજા-કન્યા અને જાનૈયાઓનું કહેવુ છે કે પોલીસ વલસાડ પોલીસે તેમની પાસે અમાનવીય વર્તન કર્યુ હતુ. સામાન્ય રીતે રાત્રિ કરફ્યૂ સમયે નીકળેલા વ્યક્તિની પૂછપરછ કરતા કારણ યોગ્ય ન લાગે તો પોલીસ કાર્યવાહી કરે તેવો નિયમ છે. જો કે જાનૈયાઓ પાસે યોગ્ય કારણ હોવા છતા તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યુ હોવાનો પોલીસ પર આક્ષેપ છે. પોલીસની આ કાર્યવાહીને લઇને જાનૈયાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ વલસાડ એસપીએ ખુલાસો કર્યો છે કે વરરાજા-કન્યાના લગ્ન તો સવારે જ થઈ ગયા હતા. પરંતુ રાત્રે તેઓ જમવા અને ફરવા નીકળ્યા હતા. રાત્રે 1 વાગ્યે તેમની ત્રણ કાર એક બ્રિજ પરથી ડિટેઇન કરાઇ હતી. જે બાદ વર-કન્યા અને જાનૈયાઓની પુછપરછ કરી અડધો જ કલાકમાં મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યુ હતુ કે તેમની સામે માત્ર જાહેરનામા ભંગનો જ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે કુલ 9 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યુ છે.

આ પણ વાંચો-

પાર્લામેન્ટ્રી બોર્ડમાં બ્રહ્મસમાજને સ્થાન ન મળતા નારાજગી, બ્રહ્મસમાજે સી.આર.પાટીલને રજૂઆત કરી

આ પણ વાંચો-

Gandhinagar: PM મોદીએ ભાજપના પેજ પ્રમુખો અને કાર્યકરો સાથે વર્ચ્યુઅલી કરી વાતચીત, વડાપ્રધાને આપ્યો જીતનો મંત્ર

Next Video