વડોદરામાં ₹7.42 કરોડ ‘પાણીમાં’? રૂપારેલ કાંસમાં ભૂમાફિયાઓએ ઠાલવ્યો હજારો ટન કાટમાળ, ચોમાસા પહેલા તંત્ર ઘોર નિંદ્રામાં!

| Edited By: | Updated on: May 07, 2026 | 9:23 PM

દંતેશ્વરના અનુપમનગર પાસે કાંસની દીવાલ તોડીને 250 મીટર સુધી કાટમાળ ખડકી દેવામાં આવ્યો છે. કરોડોના ખર્ચે કાંસ પહોળી કર્યા બાદ પણ તંત્રના પાપે સ્થાનિકો પર પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. ડેપ્યુટી ઇજનેરના 'કામ ચાલુ છે' તેવા જવાબોથી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વડોદરાના દંતેશ્વર વિસ્તારમાંથી પસાર થતી રૂપારેલ કાંસને પહોળી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ₹7.42 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, તંત્રના નિરીક્ષણના અભાવે આ કાંસ અત્યારે ભૂમાફિયાઓ માટે કાટમાળ ઠાલવવાનું કેન્દ્ર બની ગઈ છે. અનુપમનગર નાળા પાસે અંદાજે 250 મીટર સુધી હજારો ટન કાટમાળ ખડકાયેલો છે, જેના કારણે કાંસનું વહેણ અવરોધાયું છે.

ચોમાસામાં જળબંબાકારની ભીતિ

સ્થાનિકોનો આક્ષેપ છે કે સામાન્ય વરસાદમાં પણ આસપાસની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જાય છે. ભૂમાફિયાઓએ કાંસની દીવાલ તોડીને બેફામ કચરો ઠાલવ્યો હોવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે. આ મામલે જ્યારે મનપાના ડેપ્યુટી ઇજનેરનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે ‘ચોમાસા પહેલા કામ પૂરું થઈ જશે’ તેવું રટણ કરીને પોતાની જવાબદારીમાંથી પલ્લું ઝાટક્યું હતું. જો યુદ્ધના ધોરણે આ કાટમાળ દૂર કરવામાં નહીં આવે, તો આગામી ચોમાસામાં વડોદરાના આ વિસ્તારમાં હોનારત સર્જાય તો નવાઈ નહીં.

હોર્ડિંગ્સ બતાવવા મધરાતે મહાકાય વૃક્ષોનું કતલખાનું ! ખાડા નથી દેખાતા પણ નડતા વૃક્ષો દેખાયા ?

Follow Us