રાજ્ય ભરમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી કમોસમી વરસાદની સ્થિતિ છે. ખેડૂતો માટે વરસાદ કહેર બનીને આવ્યો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉતર ગુજરાતમાં માવઠુ થયુ, જેણે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. સૌરાષ્ટ્રથી માંડીને ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભારે નુકશાન થયુ છે.
ધોરાજી અને સુરેન્દ્રનગરમાં ઘંઉ, એરંડા અને જીરૂ સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે. તો નવસારીમાં બાગાયતી પાક એવા કેરી અને ચીકુના પાકને માવઠાને કારણે માઠી અસર પહોંચી છે. તો આ તરફ સાબરકાંઠામાં પણ કમોસમી વરસાદે તારાજી વેરી છે.જેથી ખેડૂતો હવે નુકશાન વળતર માટે સરકાર પાસે આશા રાખી રહ્યા છે.
ગુજરાતમાં વેર્સ્ટન ડિસ્ટબર્ન્સના પગલે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઠેર ઠેર માવઠું અને તેની સાથે કરા પડતા ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. તેમાં વળી પાછી હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી 3-4 દિવસ સુધી વરસાદની સંભાવના છે. આવતીકાલથી રાજ્યમાં હળવો વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની સંભાવના છે. 24 માર્ચે ઓછા વરસાદની શક્યતા છે. આગામી 4 દિવસ સુધી ગરમીની કોઈ શક્યતા નથી