સુરેન્દ્રનગર પોલીસ વ્યાજખોરોના વિષચક્રમાંથી પરિવારને મુક્ત કરાવી માત્ર 24 કલાકમાં પરત અપાવ્યું ₹1 કરોડનું સોનું!

| Edited By: | Updated on: May 23, 2026 | 8:30 PM

લીંબડીના એક પરિવારે વ્યાજના ચક્કરમાં 70 તોલા સોનું અને ₹30 લાખ ગુમાવી દીધા હતા. મહિલાઓએ એસપી પ્રેમસુખ ડેલુને રજૂઆત કરતા જ પોલીસે એક્શન મોડમાં આવી મોટો સપાટો બોલાવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની એક ખૂબ જ પ્રશંસનીય અને મોટી કામગીરી સામે આવી છે. લીંબડીના શૈલેષ કાગડીયાના પરિવારે આશરે 4-5 વર્ષ પહેલાં વ્યાજખોરો પાસેથી નાણાં લીધા હતા, જેના બદલામાં તેમણે 70 તોલા સોનું ગીરવે મૂક્યું હતું. શરૂઆતમાં વ્યાજ ચૂકવ્યા બાદ પરિવારની આર્થિક સ્થિતિ બગડતા વ્યાજખોરોએ ₹30 લાખ રોકડા અને ₹1 કરોડની કિંમતનું આ આખું સોનું પડાવી લીધું હતું.

જ્યારે આ પરિવાર સોનું પાછું મળવાની આશા સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યો હતો, ત્યારે કુટુંબની મહિલાઓએ હિંમત કરીને સુરેન્દ્રનગર SP ની મુલાકાત લીધી અને આખી આપવીતી જણાવી. એસપીના આદેશથી લીંબડી DySP અને તેમની ટીમે તાત્કાલિક એક્શન લીધા હતા. પોલીસે માત્ર 24 કલાકની અંદર જ કાર્યવાહી કરીને વ્યાજખોરો પાસેથી 70 તોલા સોનું રિકવર કરી લીધું અને પીડિત પરિવારને સહીસલામત પરત સોંપ્યું હતું.

પોતાનું સોનું પાછું મળતા જ પરિવારની મહિલાઓની આંખમાં હરખના આંસુ આવી ગયા હતા. પોલીસે આ મામલે બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન પણ કરાવ્યું છે. આ મોટી મદદ બદલ આખો પરિવાર પોલીસકર્મીઓનો આભાર માનવા પહોંચ્યો હતો અને શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. એસપીએ લોકોને અપીલ કરી છે કે વ્યાજખોરીથી કંટાળીને કોઈ ખોટું પગલું ભરવાને બદલે સીધો પોલીસનો સંપર્ક કરવો, તંત્ર કડક પગલાં ભરશે.

દર મહિને મોટું લાઇટ બિલ જોઈને ચિંતા કરવાની જરૂર નથી, વીજળીના મીટરમાં થતી આ 3 કલરની લાઇટનો સંકેત સમજી લો

Follow Us