સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બની ગયુ સુરત-Video

દોઢ ઈંચ વરસાદમાં જ સ્માર્ટ સિટી સુરત જળબંબાકાર બન્યું છે, ઉધના, વેસુ, ભેસ્તાન અને સચિન જેવા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. કરોડોના ટેક્સ છતાં પાણી નિકાલનો કાયમી ઉકેલ ન મળતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો.

| Edited By: | Updated on: Jul 19, 2026 | 10:02 PM

સ્માર્ટ સિટી સુરત આજે ફરી ‘જળબંબાકાર સિટી’ બની ગયું છે. વહેલી સવારથી શરૂ થયેલા સામાન્ય વરસાદમાં જ આખું શહેર પાણી-પાણી થઈ ગયું છે. સૌથી ખરાબ સ્થિતિ ઉધના-નવસારી રોડ અને વેસુ શ્યામ મંદિર વીઆઇપી રોડની છે, જ્યાં રસ્તાઓ નદીમાં ફેરવાયા છે. વાહનચાલકો અટવાયા છે, એન્જિનો બંધ પડ્યા છે.

તો વરસાદના કારણે ઉધના રેલવે નજીક ગરનાળું પણ પાણીમાં ગરકાવ થયું.. ઘૂંટણસમા પાણીમાંથી રાહદારીઓ આવવા-જવા મજબૂર બન્યા. એક છેડેથી બીજા છેડે જતા રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘણા લાંબા સમયથી કાયમી ઉકેલ લાવવા માટેની માગ કરવામાં આવી રહી છે. પરંતુ તંત્રનું પેટનું પાણી હાલતું નથી.

સુરતમાં વહેલી સવારે વરસેલા વરસાદથી પરિસ્થિતિ વિકટ બની. ભેસ્તાન બાટલી બોય નજીક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.. એક તરફનો રસ્તો સંપૂર્ણ પણે પાણીમાં ગરકાવ થયો અને ફરી એકવાર મનપાના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા. વરસાદી જળભરાવના કારણે એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી. વરસાદી પાણીના કારણે અનેક વાહનો પાણીમાં બંધ પડ્યા.

બીજી તરફ સચિન વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ સર્જાઈ. સચિન ગામમાં રેલવે ગરનાળામાં પણ ભરાયા વરસાદી પાણી.. કમરથી પણ વધુ સુધીના પાણીએ જાણે કે ગરનાળું જ ઢાંકી દીધું છતાં, લોકો જીવના જોખમે પસાર થતાં પણ દેખાયા..

સવાલ એ છે કે દર વર્ષે કરોડોના ટેક્સ વસૂલતી પાલિકા પાસે પાણી નિકાલનો કોઈ કાયમી રસ્તો કેમ નથી? સામાન્ય વરસાદમાં પણ જો જનતાએ આફત ભોગવવી પડે, તો આ તંત્રની ઘોર બેદરકારી નહીં તો બીજું શું છે? જનતા પૂછી રહી છે સવાલ, ક્યારે જાગશે તંત્ર?

 

અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં બાબા બર્ફાની કેમ થયા અંતર્ધાન, પ્રકૃતિએ આપેલો સંકેત આપણે ક્યારે સમજશુ?

Follow Us