બાવળા સાણંદ વિધાનસભા બેઠકને લઈ કોળી સમાજની કમલમમાં રજૂઆત, કનુ પટેલને રિપિટ ન કરવા આપ્યું આવેદન
Gujarat Election 2022: અમદાવાદની બાવળા સાણંદ વિધાનસભા બેઠક પર હાલના ધારાસભ્ય કનુ પટેલને લઈને તેમના જ સમાજના લોકોમાં રોષની લાગણી છે. કનુ પટેલને રિપિટ ન કરવાની રજૂઆતને લઈને કોળી સમાજના આગેવાનો કમલમ પહોંચ્યા અને સી.આર. પાટીલને રજૂઆત કરી હતી.
અમદાવાદની બાવળા સાણંદ વિધાનસભા 40ના કોળી સમાજના આગેવાનો કમલમ ખાતે પહોંચ્યા હતા. કમલમ ખાતે આવેલા આગેવાનોએ સાણંદ સીટ પર કનુ પટેલને રિપિટ ન કરવાની રજૂઆત કરી હતી. કોળી સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 5 વર્ષમાં કનુ પટેલે કોઈ જ કામ કર્યુ નથી. સાથે જ ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કર્યા હતા. સાથે જ જણાવ્યું હતું કે અહીં અન્ય કોઈને ટિકિટ આપવામાં આવશે તો તેઓ તેમની સાથે રહેશે નહીં તો વિરુદ્ધમાં જશે.
કોળી સમાજના આગેવાને જણાવ્યુ કે અમે કમલમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રજૂઆત કરી છે. સાથોસાથ ઈમેઈલ દ્વારા ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને પણ રજૂઆત કરી છે કે અમારે આ સેટિંગ ધારાસભ્ય ન જોઈએે. વધુમાં તેમણે ઉમેર્યુ કે જો આ ધારાસભ્યને કોઈપણ સંજોગોમાં ટિકિટ ફાળવાશે તો ત્યાં ભાજપ ચોક્કસપણે હારશે. તેમણે માગ કરી કે કનુ પટેલના સ્થાને કોળી સમાજના કોઈપણ ઉમેદવારને લડાવાશે તો ભાજપનું કમળ ખિલવવા તનતોડ મહેનત કરશે.
બાવળા સાણંદમાં કોળી સમાજ હાલના ધારાસભ્ય કનુ પટેલથી ભારોભાર નારાજ છે અને તેમના કોઈ કામો ન થતા હોવાની તેમણે ફરિયાદ કરી છે. ત્યારે આ બેઠક પર હવે ભાજપ કોને મેદાને ઉતારશે તે જોવુ રહ્યુ. જનતામાં જેને લઈને નારાજગી છે એવા કનુ પટેલને રિપીટ કરશે કે કોઈ અન્ય ઉમેદવારને ટિકિટ આપશે તે જોવુ રહ્યુ.