Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરવી ત્રણ વિદ્યાર્થીઓને ભારે પડી છે. યુનિવર્સિટી દ્વારા નિમાયેલી કમિટીના રિપોર્ટ બાદ કાર્યવાહી કરતા, ત્રણેય વિદ્યાર્થીઓને આજીવન સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં આજીવન પરીક્ષા નહીં આપી શકે. સમગ્ર ઘટના એવી હતી કે જામનગરના સ્વામિનારાયણ ગુરૂકુળમાં પરીક્ષા દરમિયાન ચોરી કરતા ત્રણ વિદ્યાર્થીઓ રંગેહાથ ઝડપાયા હતા. જોકે આ પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જે બાદ આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી.
તપાસમાં સ્વામિનારાયણ ગુરૂકુળ કોલેજની બેદરકારી સામે આવી હતી અને કોલેજનું કોમર્સ કોલેજની માન્યતા રદ કરી દેવાઇ હતી. આમ હવે સમગ્ર કેસમાં સત્તાધીશોએ દોષિતો સામે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કોપી કેસ મામલે પણ અન્ય 56થી વધુ વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં આવી છે. ગઈકાલની ઈડીએસીની બેઠકમાં 59માંથી 55 વિદ્યાર્થીઓને 1+1 સેમેસ્ટરની સજા, 3 વિદ્યાર્થીઓને 1+4 અને અને 1 વિદ્યાર્થિનીને 1+6 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમોન્સૂનના દાવા પોકળ, શહેરમાં 4 સ્થળોએ ભુવા પડ્યા હોવાની ઘટના, જુઓ Video
વાસ્તવમાં BAના સેમેસ્ટર 2ની પરીક્ષા ચાલી રહી હતી, જે અંતર્ગત પેપર પૂર્ણ થયા બાદ ઉત્તરવહીની ગણતરી કરતી વખતે એક ઉત્તરવહી ઘટી હતી. જેને લઈ તપાસમાં સામે આવ્યું હતું કે એક વિદ્યાર્થિની ઉત્તરવહીને પોતાના ઘરે લઈ છે. તાત્કાલિક ઉત્તરવહી પરત આપવા જણાવ્યું હતું અને તે વિદ્યાર્થીની ઉત્તરવહી પરત આપી ગઈ હતી. અને તેની આખી પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ વિદ્યાર્થિનીને 1+6 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે પરીક્ષામાં ઉતરવહીમાં જવાબ અન્ય પાસે લખાવનાર વિદ્યાર્થીને 1+4 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી, પરીક્ષાખંડમાં મોબાઈલ સાથે રાખનાર વિદ્યાર્થીને પણ 1+4 સેમેસ્ટરની સજા ફટકારવામાં આવી હતી.
રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:53 pm, Tue, 30 May 23