રાજકોટ: ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં જતા પહેલા જ સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાયેલા બાબા બાગેશ્વર એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાબાને ખુલ્લી ચેલેન્જ આપનારા સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયાની પોલીસે દરબારમાં પહોંચે તે પહેલા જ અટકાયત કરી લીધી છે.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. આ દરમિયાન સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળીયા, જેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જ આપી હતી, તેમની દિવ્ય દરબારમાં જવા નીકળતા સમયે જ પોલીસે અટકાયત કરી લીધી છે. કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.
અટકાયત થતાં પહેલા પુરુષોત્તમ પીપળીયાએ મીડિયા સાથે વાતચીત કરતા પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “મેં પોલીસ પ્રોટેક્શન માટે અરજી કરી હતી. જો બાબા મારા સવાલોના સાચા જવાબ આપશે તો હું તેમને નતમસ્તક થઈને સ્વીકારીશ, બાકી આ બધું અંધશ્રદ્ધા અને ધતિંગ છે.” અટકાયત થયા બાદ પીપળીયાએ આક્ષેપ કર્યો હતો કે આયોજકો અને રાજકીય દબાણના કારણે જ પોલીસે તેમની ધરપકડ કરી છે.