Rajkot: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 27મી જુલાઈએ રાજકોટમાં અનેક વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યુ. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડાપ્રધાન મોદીને રાજકોટના વિકાસની ઉડાનના પ્રતીક સમાન ઈમિટેશનના પ્લેનની ભેટ આપવામાં આવી. આ પ્લેન રાજકોટની વિશેષતા અને વૈશ્વિક ઓળખ એવા ઈમિટેશન આર્ટથી મઢવામાં આવ્યુ છે.
રાજકોટ આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ ઍરપોર્ટના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાનને ભેટ આપી શકાય તે માટે રાજકોટના ઇમિટેશન વ્યવસાયિકો દ્વારા આ અઢી ફૂટના વિમાનની પ્રતિકૃતિને સજાવીને તૈયાર કરવામાં આવી છે. સૌ પ્રથમ જસદણના એન્ટિક વસ્તુઓના કારીગર દ્વારા મૂળ કાષ્ઠનું અઢી ફુટનું વિમાન બનાવવામાં આવ્યું હતું. એ પછી આ અઢી ફુટની સાઈઝના લાકડાના પ્લેન પર રાજકોટના ઇમિટેશનના કારીગરો દ્વારા વિશિષ્ટ ઇમિટેશનનો ઢોળ ચડાવવામાં આવ્યો હતો. એ પછી ઇમિટેશનની ડાયમંડ અને મોતીની જ્વેલરી જડીને તેને શણગારવામાં આવ્યું છે.
આ માટે રાજકોટ ઇમિટેશન જ્વેલરી એસોસિયેશને જહેમત ઉઠાવી હતી અને ઈમિટેશનના નિષ્ણાત 30 કારીગરોને આ કામમાં રોક્યા હતા. આ કારીગરોએ 30 કલાકની સખત મહેનતથી આ ‘પ્લેન’ને શણગાર્યું છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો