અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત મહાશિવરાત્રિના દિવસે શિવજીના દર્શને ગયા હતા. જ્યાં તેમણે મીડિયાને સંબોધતા રાજુ કરપડાના રાજીનામા અને આપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને લઈ એવુ નિવેદન આપ્યુ કે ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થવા લાગી. એમ તો રાજકીય નિષ્ણાતો માને છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ચૂંટણીમાં ચાલતો નથી અને નિષ્ણાતોની આ જ વાતને રિપિટ કરતા પ્રતાપ દૂધાતે કહ્યું કે થર્ડ પાર્ટીના વિભાજન દ્વારા ગુજરાતને નુક્સાન થઈ રહ્યું છે. સાથે જ મત વિભાજનના કારણે કોંગ્રેસના 60 ધારાસભ્યો મટી ગયા હોવાનું નિવેદન આપ્યું છે.
તો બીજી તરફ રાજુ કરપડા રાજીનામા પર નિવેદન આપતા દૂધાતે કહ્યું કે ધીમે ધીમે સાવરણાની સળીઓ વિખાઈ રહી છે તે દેખાઈ આવે છે. તેમણે કહ્યુ વર્તમાન સ્થિતિ પ્રમાણે જે રાજકીય ગણિત બેસી રહ્યુ છે એ પ્રમાણે હવે પછી ઈસુદાનનો વારો છે. આ અગાઉ તેમણે રાજુ કરપડાના રાજીનામા પર ચોંકાવનારુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે રાજુ કરપડાના જે હાલ થયા છે તેવા જ હાલ ઈસુદાન ગઢવીના થવાના છે. ઈસુદાન ગઢવીનો રાજકીય ભોગ લેવાશે. ઈટાલિયા આપને મુક્ત કરી ઝાડુ મારીને ભાજપમાં જા રહેશે. દૂધાતના આ નિવેદનોથી રાજકીય માહોલ ગરમાયો છે.
Input Credit- Rahul Bagda- Amreli
Published On - 9:48 pm, Sun, 15 February 26