પોરબંદર જિલ્લાના માધવપુર ગામમાં આવતીકાલથી ભગવાન માધવરાય અને માતા રૂક્ષ્મણીજીના ભવ્ય લગ્નોત્સવ તથા લોકમેળાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. પાંચ દિવસ ચાલનારા આ મેળામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક રાજ્યના મંત્રીઓ, કેન્દ્રીય પ્રધાનો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મેળામાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાવાના છે. જેમાં રાજ્યના સુપ્રસિદ્ધ લોકકલાકારો પોતાની કલાનું પ્રદર્શન કરી લોકોનું મનોરંજન કરશે.
માધવપુર ગામમાં મેળાના સમગ્ર આયોજનને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમજ મેળાની મુલાકાતે આવનાર તમામ લોકો માટે એસી ડોમની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ધૂળેટીના દિવસથી માધવરાયજીના લગ્નની કંકોત્રી લખાઇ છે. કંકોત્રી લખાયા બાદ લોકો આતુરતાપૂર્વક મેળાની રાહ જોતા હોય છે. સમગ્ર માધવપુર ગામ ભક્તિના રંગે રંગાઇ જાય છે અને મામેરાથી માંડીને લગ્નની તમામ વિધિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા જોવા મળે છે.
જો કે બીજી તરફ માધવપુરનો રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન સ્થળ તરીકે સમાવેશ કરાયા બાદ પણ ગામમાં પૂરતો વિકાસ ન થયો હોવાની સ્થાનિકોમાં લાગણી પ્રવર્તી રહી છે. રાષ્ટ્રીય કક્ષાના મેળામાં જ્યારે દૂર દૂરથી અનેક પ્રતિષ્ઠિત મહેમાનો આવવાના હોય ત્યારે ગામમાં અનેક ભાગોમાં પાયાકીય સુવિધાઓ વિકસી નથી. જે અંગે તંત્ર ઘટતું કરે તેવો સૂર આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…