હિંમતનગર શહેરમાં એક બાળક વિદ્યાનગરી રોડ પરથી મળી આવતા સ્થાનિકોને પૂછપરછ કરાઈ હતી. પરંતુ બાળકના માતા પિતા સ્થાનિક નહીં હોવાનુ લાગતા આખરે પોલીસનો સંપર્ક કરીને બાળકને પોલીસને સોંપી દેવામાં આવ્યુ હતુ. પોલીસે બાળકના માતા-પિતાની શોધખોળ શરુ કરી હતી. પરંતુ દોઢ કલાક બાદ એક કડી ગીરધનગર આવાસ યોજનાની મળી હતી. જેને લઈ બાળકને ગીરધરનગર આવાસ યોજના વિસ્તારમાં મરણ પ્રસંગે આવેલ તેના માતાને પરત પહોંચાડવામાં સફળતા મળી હતી.
દહેગામથી પરિવાર મરણપ્રસંગે હિંમતનગર આવ્યો હતો. જ્યાં બાળકના પિતાના કાકીનુ મૃત્યુ થયુ હોઈ તેમની અંતિમ યાત્રા નિકળી હતી. બાળક પણ પિતાની પાછળ અંતિમ યાત્રામાં ચાલવા લાગ્યુ હતુ અને છુટૂ પડી ગયુ હતુ. પિતા અંતિમ સંસ્કાર માટે અંતિમધામમાં પહોંચી ગયા હતા, પરંતુ બાળક રોડ પર જ રહી ગયુ હતુ અને જે પિતાની જાણમાં નહોતુ કે તે તેમની પાછળ આવવા નિકળેલ છે. આમ અંતિમ ક્રિયા પૂર્ણ થયા બાદ બાળકની શોધખોળ શરુ કરી હતી. ત્યાં પોલીસ પણ બાળકના માતા-પિતાને શોધખોળ કરી રહી હતી. આમ હિંમતનગર શહેરના બી ડિવિઝન પોલીસ સત્વરે બાળકને તેના માતા અને પિતા પાસે પહોચાડવામાં સફળ રહી હતી.
Published On - 10:35 pm, Fri, 3 November 23