ગુજરાતમાં આખલાઓનો આતંક દિવસેને દિવસે વધતો જઇ રહ્યો છે. ત્યારે આખલાના આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ઘટના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા થરાદ રોડ પરની છે. ધાનેરા થરાદ રોડ પર બે આખલાએ આખુ બજાર માથે લીધુ હતુ. આ આખલાઓએ બાખડવાનું શરુ કર્યુ હતુ. જે પછી આ આખલાઓએ પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
બનાસકાંઠાના ધાનેરા થરાદ રોડ પર બે આખલાઓ બાખડ્યા હતા. આખલાઓએ બાખડતા બાખડતા નજીકની પાણીપુરીની લારીને અડફેટે લઇ લીધી હતી. આ સમયે અહીં કેટલાક લોકો પાણી પુરી ખાઇ રહ્યા હતા. અચાનક આખલાઓ લારીની નજીક આવતા પાણી-પુરી ખાતા લોકો દોડતા થઇ ગયા હતા. સદનસીબે આ લોકોનો આબાદ બચાવ થયો છે. જો કે આખલાની અડફેટે પાણીપુરીની લારી પલટી ગઇ હતી. પાણીપુરીની લારી ચલાવનારા વ્યક્તિને આખલાના આતંકના કારણે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠામાં આખલાઓ બાખડવાની ઘટના વારંવાર સામે આવતી હોય છે. જેના કારણે અહીંના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક વાર રજૂઆતો કરવા છતા પણ સમસ્યાનો અંત આવતો નથી. ત્યારે આખલાના આતંકની વધુ એક ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.