પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢ મંદિરમાં આવતીકાલ 16 જાન્યુઆરીથી રોપ વે સેવા છ દિવસ માટે બંધ રહેશે. આથી પાવાગઢ જતા ભક્તજનોએ પગથિયા ચઢીને મંદિર સુધી પહોચવું પડશે. મંદિર સુધી લઈ જતો રોપ વે મેઇન્ટેનન્સના કામ માટે બંધ રાખવામાં આવશે. પાવાગઢમાં તહેવારોમાં તેમજ રવિવારે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે અને પાવાગઢના દર્શન માટે સતત રોપ વેનો ઉપયોગ થતો હોય છે આથી રોપ વે ચલાવનારી કંપની વાર્ષિક તેમજ અર્ધ વાર્ષિક મેઇન્ટેનન્સ કરતી હોય છે તે જ રૂટિન પ્રક્રિયા પ્રમાણે પાવાગઢમાં પણ રોપ વેની મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે. 21 જાન્યુઆરી બાદ રાબેતા મુજબ રોપ વે સેવા શરૂ કરવામાં આવશે.
પ્રખ્યાત યાત્રાધામ પાવાગઢમાં ભારે પવન ફૂંકાવાને પગલે 5 જાન્યુઆરી રોપ વે બંધ રાખવાની ફરજ પડી હતી. બે દિવસથી સતત પવન રહેતા રોપ વે સંચાલકોએ નિર્ણય લીધો હતો કે પાવાગઢમાં રોપ વે સેવા બંધ રાખવામાં આવે. જોકે તે સમે રોપ-વે સેવા કેટલાંક સમય સુધી બંધ રહેતા યાત્રિકો હેરાન થયા હતા. રોપ વે સંચાલકોએ જણાવ્યું હતું કે પ્રવાસીઓની સુરક્ષા માટે ભારે પવનમાં રોપ વે ચલાવી શકાય નહીં તેથી પ્રવાસીઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે રોપ વે મેઇન્ટેનન્સના કામ માટે પાંચ દિવસ માટે બંધ રાખવામાં આવ્યો હતો. જે 14 જાન્યુઆરી બાદ શરૂ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું રોપ વે સેવા બંધ હતી પરંતુ ભાવિકોએ પગપાળા જઈને ગબ્બર દર્શન તેમજ અખંડ જ્યોતના દર્શન કર્યા હતા. નોંધનીય છે કે ગબ્બર ઉપર જવાના 999 પગથિયા છે જ્યારે ઉતરવા માટેના 765 પગથિયાં છે.