મેઘરાજાને રિઝવવા પાલનપુરની મહિલાઓએ વર્ષો જૂની ઢુંઢિયા બાવજી મૂર્તિ પરંપરાને ફરી કરી જીવંત- જુઓ Video
હાલ વરસાદ ખેંચાયો છે અને ઉત્તર ગુજરાતના ખેડૂતોની ચિંતા વધી છે, ત્યારે પાલનપુરની મહિલાઓે એ વર્ષો જૂની પરંપરાને ફરી જીવંત કરી છે. મહિલાઓએ ઢુંઢિયા બાવજીની મૂર્તિ બનાવી ગામમાં ફેરવી અને પરંપરાગત મેઘરાજાના મનામણા કરતા ગીતો ગાયા.
અત્યારે રાજ્યભરમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ સૌથી વધુ કફોડી બની ગઈ છે. ઉત્તર ગુજરાતના ખેડૂતોએ વરસાદની રાહે વાવેતર કરવાનુ પણ બાકી રાખ્યુ છે. જિલ્લાના ખેડૂતોનું કહેવુ છે કે વરસાદ આવતો નથી, તેમના પાસે પિયત માટેની સ્ત્રોત છે નહીં તો વાવેતર કરવુ કે ન કરવુ તે અવઢવમાં છે. ત્યારે પાલનુપુરની મહિલાઓએ મેઘરાજાને રિઝવવા માટે વર્ષો જૂની પરંપરાને ફરી જીવંત કરી.
વર્ષોથી ચાલી આવતી લોકપરંપરા મુજબ વરસાદ ખેંચાય ત્યારે મહિલાઓ ઢુંઢીયા બાવજીની મુર્તિ બનાવી ગામમાં ફેરવે છે પરંપરાગત ગીતો ગાય છે અને મેઘરાજાને પ્રસન્ન કરવા માટે પ્રાર્થના કરે છે. પાલનપુરમાં પણ મહિલાઓ આ જ આસ્થા સાથે એકત્રિત થઈ વરસાદ માટે પ્રાર્થના કરી. માટીમાંથી મહિલાઓ ઢુંઢીયા બાવજીની મુર્તિ બનાવી તેના પળ જળ અભિષેક કરીને ગામની શેરીએ-શેરીએ ફેરવવામાં આવી. માન્યતા છે કે જ્યારે-જ્યારે વરસાદની ખેંચ પડે ત્યારે આ રીતે પ્રાર્થના કરવાથી મેઘરાજા મહેરબાન થાય છે. આ અંગે ગ્રામજનોએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે અમારી પ્રાર્થનાથી મેઘરાજા મહેર કરશે.
હાલ ઉત્તર ગુજરાતના ખેડૂતોનુ કહેવુ છે કે તેમણે આગોતરી તૈયારી રૂપે ખાતર, મોંઘા ભાવના બિયારણો, ડીઝલ સહિતના ખર્ચા કરીને મુકી રાખ્યા છે પરંતુ હાલ વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો અવઢવમાં મુકાયા છે. આ વિસ્તાર 80 ટકા કેનાલ આધારીત છે અને પિયત માટેની મુખ્ય સ્ત્રોત એવી કેનાલો પણ કોરીધાકોર છે ત્યારે ખેડૂતોનું વાવેતર લટકી પડ્યુ છે.
