ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે દરેક રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મતદારોને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે ચૂંટણી સમયે મતદારોએ પણ પોતાનો મીજાજ બતાવવાનું શરુ કરી દીધુ છે. વડોદરામાં કારેલીબાગ વિસ્તારમાં મતદારોએ વિરોધ કર્યો છે. લોકોએ પોતાની સમસ્યાનો અંત ન આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ભરાતી આડેધડ શાકમાર્કેટનો સ્થાનિકોએ વિરોધ કર્યો છે. “શાકમાર્કેટ નહીં હટાવાય તો વોટ નહીં મળે”ના બેનરો લાગ્યા છે. સ્થાનિકોએ આક્રોશ સાથે શાક માર્કેટને દુર કરવા ચીમકી આપી છે. સમગ્ર બાબતે વાત કરીએ તો કોરોનામાં શાકમાર્કેટનું હંગામી ધોરણે આ વિસ્તારમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પરંતુ તે શાક બજાર કાયમી ધોરણે આ વિસ્તારમાં રહી ગઈ. જેના લીધે હાઈવેને જોડતા રોડ પર આડેધડ પડેલી લારીઓ અને વાહનોથી લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો. સમગ્ર બાબતે સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છતાં કોઈ નિવેડો આવ્યો ન હતો. જેથી હવે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
તો આ તરફ મહિલાઓએ પણ શાકભાજી બજારને વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવા સૂચન કર્યા છે. તેમજ પૂરપાટ ઝડપે આવતા વાહનોથી કોઈ દુર્ઘટના ન સર્જાઈ તે માટે ઉગ્ર રજૂઆત કરી છે.. અને શાકભાજી માર્કેટ નહીં હટાવાય તો વોટ નહીં આપીએ તેવી ચીમકી પણ આપી છે.
ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.