ખોડલધામના ચેરમેન નરેશ પટેલના (Khodaldham chairman Naresh Patel) રાજકીય પ્રવેશને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે, તેની વચ્ચે આજે તેઓ રાજકોટમાં પત્રકારોને સંબોધન કરશે. જેથી તેઓ રાજકારણમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે,ત્યારે તેણે પ્રેસ કોન્ફરન્સ (Press Conference) પહેલા સ્પષ્ટતા કરી છે કે તે આજે રાજકારણમાં જોડાવા અંગે કોઈ નિર્ણય નહીં લે. તેઓ માત્ર આજે માત્ર પત્રકારો સાથે સામાન્ય મુલાકાત કરશે.
સુત્રોનુ માનીએ તો નરેશ પટેલ કોંગ્રેસના હાઇકમાન્ડ સાથે અંતિમ તબક્કાની ચર્ચાઓ કરી રહ્યા છે. જોકે આ બધાની વચ્ચે ગઈ કાલે નરેશ પટેલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરતા ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ હતી. નરેશ પટેલ (Naresh Patel) હાલમાં જર્મનીની મુલાકાતે હતા, ત્યાંથી તેઓ સીધા જ ઉત્તર પ્રદેશમાં આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતા અને ત્યાંથી આજે તેઓ રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા. સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસમાં (Congress) જોડાઈ તે પહેલાની આ ખૂબ જ મહત્ત્વની મુલાકાત ગણી શકાય અને આ મુલાકાતથી તેમની રાજકીય એન્ટ્રીમાં નવો વળાંક આવી શકે છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે રાજકોટના પત્રકારો સાથે વાર્તાલાપ કરવાના છે, જોકે પત્રકારો સાથેનો આ સંવાદ ઔપચારિક મુલાકાત માનવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન નરેશ પટેલ કોઈ મહત્વની જાહેરાત કરે તેવી શક્યતા નથી, પરંતુ જરૂરથી તેઓ પોતાના રાજકીય પ્રવેશને લઈને કોઈ સંકેત આપી શકે છે.