8 કરોડના ખર્ચે શરૂ થયેલી ‘મધુર જળ યોજના’ અટવાઈ, 18 તળાવોનું જોડાણ ન થતાં સાડા ત્રણ લાખની વસ્તી પાણી માટે તરસી

| Edited By: | Updated on: Jun 06, 2026 | 8:33 PM

નવસારી શહેરમાં પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તળાવોને ઇન્ટરલિંક કરવાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. પરંતુ તંત્રની ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીને લીધે છેલ્લા 6 વર્ષથી આ આયોજન પૂરું થવાનું નામ નથી લેતું. કરોડો રૂપિયાના આંધણ પછી પણ શહેરીજનોને દિવસમાં માત્ર એક જ વાર અપૂરતું પાણી મળી રહ્યું છે.

નવસારી શહેરમાં સાડા ત્રણ લાખની વસ્તી માટે પીવાના પાણીના સંગ્રહ માટે 18 તળાવો આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે. પરંતુ વહીવટી તંત્રના અપૂરતા આયોજનને કારણે આ તમામ તળાવોને પરસ્પર જોડવાનો ‘તળાવ ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટ’ છેલ્લા 6 વર્ષથી અધ્ધરતાલ લટકી રહ્યો છે. હાલમાં માત્ર એકમાત્ર દુધિયા તળાવમાં જ પાણીનો સંગ્રહ થઈ રહ્યો છે, જ્યારે બાકીના તળાવો જોડાણના અભાવે ખાલી પડ્યા છે.

શહેરીજનોની પાણીની તકલીફ દૂર કરવા માટે ‘મધુર જળ યોજના’ અંતર્ગત 8 કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ ફાળવીને કામ શરૂ કરવામાં આવ્યું હતું. યોજના મુજબ સિંચાઈ કેનાલનું પાણી આ તળાવોમાં લાવીને સંગ્રહ કરવાનું આયોજન હતું. પરંતુ કનેક્ટિવિટીની યોગ્ય વ્યવસ્થા ન થતાં પાણી અન્ય તળાવો સુધી પહોંચી શકતું નથી. પરિણામે જ્યારે કેનાલનું રોટેશન બંધ થાય છે, ત્યારે શહેરમાં પાણીની તીવ્ર અછત સર્જાય છે અને લોકોને દિવસમાં માત્ર એક જ વાર પાણી આપવાની નોબત આવે છે.

આ ગંભીર આયોજનબદ્ધ ક્ષતિને લઈને વિપક્ષે શાસકો અને વહીવટી તંત્રની અણઆવડત તેમજ નીતિ સામે આકરા સવાલો ઉઠાવ્યા છે. બીજી તરફ, આ સમગ્ર મામલે નવસારીના કમિશનરે બાહેધરી આપી છે કે તળાવોને જોડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને નજીકના સમયમાં નવું આયોજન કરીને તેને પૂર્ણ કરવામાં આવશે. જો કે, આ કામગીરી ચોક્કસ કેટલા સમય મર્યાદામાં પૂરી થશે તે અંગે તંત્ર મૌન છે, જેથી નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

કેવી રીતે ઓળખશો કે કાકડી અસલી દેશી છે કે કેમિકલવાળી હાઇબ્રિડ? જાણો

Follow Us