નવસારી: વિજલપોરમાં સાત વર્ષથી રેલવે ઓવરબ્રિજનું કામ અધૂરું, 130થી વધુ ટ્રેનોના કારણે 25 હજારથી વધુ લોકો પરેશાન

| Edited By: | Updated on: May 31, 2026 | 9:56 PM

નવસારીના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતો વિજલપોર વિસ્તારનો રેલવે ઓવરબ્રિજ છેલ્લા સાત વર્ષથી અધૂરું હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પહેલા ડિઝાઇન અને પછી જમીન સંપાદનના વિવાદમાં અટકેલી આ કામગીરીના કારણે 25 હજારથી વધુ લોકોને રોજ 4 કિલોમીટરનો ચકરાવો ખાવો પડે છે.

નવસારી શહેરમાં સતત વધતી વસ્તી વચ્ચે ટ્રાફિકની સમસ્યા લોકો માટે મોટો માથાનો દુખાવો બની ગઈ છે. ખાસ કરીને વિજલપોર વિસ્તારમાં છેલ્લા સાત વર્ષથી રેલવે ઓવરબ્રિજનું કામ પૂરું થવાનું નામ નથી લઈ રહ્યું. શરૂઆતમાં આ ઓવરબ્રિજની ડિઝાઇનમાં ખામી અને ત્યારબાદ જમીન સંપાદનની પ્રક્રિયાના કારણે કામગીરી અટકી પડી હતી. ઓવરબ્રિજ ન બનવાને લીધે સ્થાનિક લોકોને નવસારી શહેરમાં આવવા માટે રોજ 4 કિલોમીટરનો લાંબો ચકરાવો કાપવો પડે છે.

આ રેલવે ટ્રેક પરથી દિવસ દરમિયાન 130થી વધુ ટ્રેનો પસાર થાય છે, જેના લીધે રેલવે ક્રોસિંગ વારંવાર બંધ રહે છે અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે. તંત્રની આ ગોકળગતિની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. લોકોનો આક્ષેપ છે કે સત્તાધીશો માત્ર ઉદ્ઘાટન કરવા આવે છે પરંતુ અટકેલા કામને પૂરું કરવામાં કોઈ રસ દાખવતા નથી. હાલ વિજલપોર વિસ્તારના ૨૫ હજારથી વધુ નાગરિકો આ બ્રિજ ક્યારે પૂરો થશે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.

શક્તિપીઠ બહુચરાજી મંદિરના ભવ્ય વિકાસ માટે ફર્સ્ટ ફેઝની કામગીરી શરૂ, 80 કરોડના ખર્ચે બદલાશે ધામનું સ્વરૂપ

Follow Us