મોરબી: મચ્છુ-2 કેનાલમાં પાણી છોડાતા જ લાખો લીટર પાણી રસ્તા પર વેડફાયું, તંત્રની ખૂલી પોલ
ચોમાસા પહેલાં જ મોરબીમાં સિંચાઈ વિભાગની શંકાસ્પદ કામગીરી સામે આવી છે. મચ્છુ-૨ માયનોર કેનાલમાં પાણી છોડવામાં આવતા જ યોગ્ય સાફ-સફાઈના અભાવે લાખો લીટર પાણી ખેતરોને બદલે રસ્તા પર વહી ગયું હતું. સ્થાનિકોના આક્રોશ વચ્ચે અધિકારીઓ માત્ર બહાનાબાજી કરતા જોવા મળ્યા હતા.
મોરબી: મોરબીમાંથી પસાર થતી મચ્છુ-2 નાની સિંચાઈ યોજનાની માયનોર કેનાલમાં ખેડૂતો માટે પાણી છોડવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ મિનિટોમાં જ ખૂલી ગઈ હતી. કેનાલની યોગ્ય સફાઈ ન થઈ હોવાથી લાખો લીટર પાણી રસ્તાઓ પર ફરી વળ્યું હતું, જેના લીધે ચોમાસા વગર જ માર્ગો પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
સ્થળ પર નિરીક્ષણ દરમિયાન કેનાલની અંદર ટ્રાફિક પોલીસના બેરિકેડ્સ, કુંડીઓનો કાટમાળ અને પ્લાસ્ટિકનો મોટો કચરો જામ થયેલો જોવા મળ્યો હતો. આ કચરાના કારણે પાણીનો પ્રવાહ અવરોધાયો હતો અને ખેડૂતો માટે અમૃત સમાન પાણીનો મોટો બગાડ થયો હતો. આ સિવાય કેનાલની આજુબાજુ આવેલી સેફ્ટી વોલ પણ અનેક જગ્યાએ તૂટેલી હાલતમાં જોવા મળી હતી, જે ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે છે.
બીજી તરફ, જ્યારે આ ગંભીર બેદરકારી અંગે સેક્શન ઓફિસરને સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે રસ્તાનું લેવલ નીચું હોવાનું બહાનું કાઢ્યું હતું અને સફાઈની જાણકારી ધરાવતા અન્ય અધિકારી ગાંધીનગર ગયા હોવાનું કહીને વાત ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. ખેડૂતો અને સ્થાનિકો અત્યારે તૂટેલી દીવાલોના સમારકામ અને તાત્કાલિક સફાઈની માંગ કરી રહ્યા છે.
રાજકોટ: પ્રિ-મોન્સુન કામગીરીને લઈને મેયર કડક, તમામ કોર્પોરેટરોને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરવા આદેશ
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
