મહેસાણાની (Mehsana) દૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચારને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે આજે હવે આ તપાસમાં ED (Directorate of Enforcement) પણ જોડાશે. આથી વિપુલ ચૌધરી (Vipuul Chaudhri) સામેનો ગાળિયો વધુ મજબૂત થઈ શકે છે. તો બીજી તરફ કરોડોના શંકાસ્પદ વ્યવહાર મામલે ACBએ કોર્ટ સમક્ષ વધુ 6 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજુર કર્યા છે. કોર્ટે વિપુલ ચૌધરીના રિમાન્ડ નામંજૂર કરી ચૌધરીને જ્યુડિશિયલ કસ્ટડિમાં મોકલવા હુકમ કર્યો છે.
વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે. એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યાં છે. કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે વિપુલ ચૌધરી સામે ED પણ તપાસ કરશે.
આ સમગ્ર ઘટનામાં કરોડોના શંકાસ્પદ વ્યવહારની જાણકારી એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા EDને કરવામાં આવી છે. ACBની તપાસમાં ખૂલ્યું છે કે વિપુલ ચૌધરીએ 4 બોગસ કંપની મારફતે વિદેશમાં પણ કરોડોના વ્યવહાર કર્યા છે અને આ 4 કંપનીઓ રજિસ્ટર થયા વિનાની છે તેમજ ખોટા દસ્તાવેજ આપીને આ કંપનીનો ઊભી કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં વિપુલ ચૌધરીના અને તેના પરિવારના 22 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે તેમજ કરોડો રૂપિયાના બેનામી હિસાબ અને વિદેશમાં કરેલા વ્યવહાર પણ મળી આવ્યા છે.