Mehsanas: વિપુલ ચૌધરી સામે ભ્રષ્ટાચારના કેસમાં ફૂટયો નવો ફણગો, જાણો સમગ્ર વિગતો
વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યાં છે. કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે.
મહેસાણાની (Mehsana) દૂધસાગર ડેરીમાં (Doodh Sagar Dairy) ભ્રષ્ટાચારને લઇ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે વિપુલ ચૌધરી (Vipul chaudhry) સામે થયેલા ભ્રષ્ટાચારના કેસમાં વધુ એક નવો ફણગો ફૂટ્યો છે. વિપુલ ચૌધરીના નિવાસસ્થાને ACBના સર્ચ ઓપરેશન દરમિયાન કેટલાક વાંધાજનક પુરાવા મળી આવ્યાં છે. તપાસમાં ખુલાસો થયો છે કે વિપુલ ચૌધરીએ જુદા જુદા બેંક ખાતામાં પૈસા સગેવગે કરી 50 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું છે એટલું જ નહીં વિદેશમાં 50 કરોડથી વધુના હવાલા પાડ્યા હોવાના પણ પુરાવા મળી આવ્યાં છે.
એક જ વ્યક્તિના ખોલાવ્યા 50 બેંક એકાઉન્ટ
કૌભાંડ કરવા માટે વિપુલ ચૌધરીએ એક જ વ્યક્તિના 50 બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હોવાનું સામે આવ્યું છે. અમેરિકા, કેનેડા અને લંડન સહિતના દેશમાં પૈસાની હેરાફેરી કરી હોવાનો પણ ખુલાસો થયો છે. જો કે હજી તો તપાસના પ્રથમ પડાવમાં જ આટલું મોટું કૌભાંડ સામે આવ્યું છે ત્યારે જેમ જેમ તપાસ આગળ વધશે તેમ તેમ મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે
ACBએ પાંચ દિવસ અગાઉ કરી હતી ધરપકડ
દૂધ સાગર ડેરીના તત્કાલિન ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી (Vipul Chaudhary) અને તેના CAની પણ ACB એ ધરપકડ કરી હતી. ACBએ વિપુલ ચૌધરી, તેના પત્ની, પુત્ર અને CA સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. દૂધ સાગર ડેરીના તત્કાલીન ચેરમેન અને પૂર્વ ગૃહ મંત્રી વિપુલ ચૌધરીએ સત્તાનો દુરુપયોગ કરી આશરે રૂપિયા 750 કરોડથી વધુ રકમની ઉચાપત (Scam) કરતા એસીબી એ 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જેમાં વિપુલ ચૌધરી, તેના પત્ની, પુત્ર અને CA વિરૂદ્ધમાં ગુનો દાખલ કરીને ACB એ વિપુલ ચૌધરી અને તેના સીએ શૈલેષ પરીખની ધરપકડ કરી છે.
ACBના જોઇન્ટ ડાયરેકટર મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે 2005 થી 2016 દરમિયાન વિપુલ ચૌધરી દૂધ સાગર ડેરીના ચેરમેન તરીકે કાર્યરત હતા. આ દરમિયાન તેમણે સત્તા નો દુરુપયોગ કરીને ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર બલ્ક મિલ્ક કુલરની ખરીદી કરી, ગેરકાયદે રીતે એડવોકેટનો ખર્ચ ઉધારી, સંસ્થા દ્વારા સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર કરોડોના બાંધકામ કરી મોટાપાયે ભ્રષ્ટાચાર આચરી તેમજ પ્રોવાઈડીંગ એન્ડ સપ્લાય એન્ડ ઇન્સ્ટોલેશન ઓફ હોલ્ડિંગ બોર્ડ બનાવવા માટે ઊંચા ભાવવાળી કંપનીને કોન્ટ્રાક્ટ આપી તેનો ફાયદો કરાવેલ છે. આ ઉપરાંત સાગરદાણ ભરવાના બોરા ખરીદીમાં બજાર કિંમતથી ઊંચા ભાવે વધુ ચૂકવી બારદાનની ખરીદી કરીને સંસ્થાને આર્થિક નુકસાન કર્યો હોવાનો પણ આરોપ છે.