વરસાદ ખેંચાવાને કારણે જુનાગઢ જિલ્લાના ખેડૂતોની કફોડી સ્થિતિ, પાક નિષ્ફળ જવાની ભીતિથી સહાય સામે માડી સહાયની મીટ
છેલ્લા એક મહિનાથી સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે. જૂલાઈમાં સારો વાવણીલાયક વરસાદ વરસી ગયા બાદ ઓગસ્ટ મહિનો કોરોકટ રહ્યો છે, જેના કારણે ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. હાલ ખેડૂતોએ વાવણી કરી દીધી છે પરંતુ સારો વરસાદ ન થવાને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
જુનાગઢ જિલ્લામાં આ વર્ષે મેઘરાજા જાણે રુઠ્યા હોય તેમ મન મુકીને વરસી નથી રહ્યા. જેના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. છેલ્લા એક મહિનાથી વરસાદનો છાંટોય ન પડતા ખેડૂતોએ વાવેતર કરેલા પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખેડૂતોની હાલત અત્યંત દયનિય બની છે. છેલ્લા દોઢ મહિનાથી વરસાદે વિરામ લીધો છે જેના કારમે ખેડૂતોને મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. હવે ખેડૂતો સરકાર સામે સહાય ની મીટ માંડીને બેઠા છે અને દેવા માફીની માગ કરી રહ્યા છે.
મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં જઈને પાક નિષ્ફળ ગયાની વ્યથા જણાવી હતી. ખેડૂતોનું કહેવુ છે કે સરકાર સેટેલાઈટ સર્વે કરીને ખેતરમાં દેખાતી લીલોતરીથી નુકસાનીનું આકલન ન કરે. મગફળી જેવા પાકો જમીનની અંદર થતા હોય છે અન પુરતી પિયત ન મળવાને કારણે તેમનુ ઉત્પાદન નિષ્ફળ ગયુ છે. મગફળી, અડદ સહિતના પાકો નિષ્ફળ જવાની અણી પર છે જેના કારણે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે.
કૃષિ નિષ્ણાંત વૈજ્ઞાનિકનું પણ કહેવુ છે કે જેમણે પ્રથમ વરસાદમાં વાવણી કરી હતી તેમના પાકમાં સુકારો અને પીળિયા જેવા રોગો આવી ગયા છે, ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે દુષ્કાળ જાહેર કરીને ખેડૂતોને આર્થિક સહાય કરવી અનિવાર્ય છે.
હાલ વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. એકતરફ કુદરત રૂઠી છે તો બીજી તરફ વહીવટી તંત્રની બેદરકારી ખેડૂતોની કમર તોડી રહી છે. સ્થાનિક ખેડૂતો જણાવે છે કે હાલ પાક બચાવવા માટે તેમને વીજળીની સૌથી વધુ જરૂર છે એવા સમયે જ વીજ કંપની દ્વારા ધાંધિયા કરવામાં આવે છે અને વારંવાર પાવર કટ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ઓછા વોલ્ટેજને કારણે મોટરો બળી જવાના કિસ્સાઓ પણ વધી રહ્યા છે.
ખેડૂતોનું કહેવુ છે કે તેઓ બોર, અને કૂવાના પાણીથી જેમતેમ પિયત આપી પાકને જીવતદાન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે સતત પાણી ખેંચવાના કારણે તેના પણ તળિયા દેખાવા લાગ્યા છે અને ભૂગર્ભ જળ સ્તર પણ ઉંડા ઉતરી ગયા છે.
સામુદ્રિક શાસ્ત્ર: શરીરના આ અંગ પર તલ હોવો એ છે ભાગ્યશાળી હોવાની નિશાની, જાણો તમારા તલ શું સંકેત આપે છે?
