ચોમાસાએ હાલાર પંથકના ખેડૂતોની વધારી ચિંતા, વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ- Video

ચોમાસાએ હાલાર પંથકના ખેડૂતોની વધારી ચિંતા, વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ- Video

| Edited By: | Updated on: Jun 28, 2026 | 6:16 PM

એકતરફ હાલ વાવણીની સિઝન માથે છે અને વરસાદ ખેંચાયો છે. ત્યારે હાલાર પંથકના ખેડૂતોની ચિંતા વધી છે. એક તરફ ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને વરસાદ ન થતા જમીનમાં પણ ભેજનું પ્રમાણ ઘટી રહ્યુ છે જેના કારણે પાક પર સંકટ તોળાઈ રહ્યુ છે.

એકતરફ હાલ વાવણીની સીઝન માથે છે બીજી તરફ ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે ત્યારે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની ગઈ છે. સૌરાષ્ટ્રમાં વરસાદ આવશે તેવી આશાએ ધરતીપુત્રોએ તેમના ખેતરોમાં ખેડ કરીને વાવેતર પણ કરી દીધુ છે પરંતુ હવે જ્યારે પિયત નો સમય થયો છે ત્યારે વરસાદ ખેંચાયો છે જેના કારણે ખેડૂતોને વાવણી નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. જુન મહિનો પુરો થવામાં છે પરંતુ વરસાદ ન આવતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.

જામનગરના હાલાર પંથક સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન સહિત વિવિધ શાકભાજી અને ઢોર માટેના ઘાસચારાની વાવણી પૂરી કરી દીધી છે. પરંતુ, વરસાદ ન આવતા જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેના કારણે હવે પાક પર સંકટ તોળાઈ રહ્યું છે. જો દસ-પંદર દિવસમાં સારો વરસાદ ન થાય તો ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ પૂરતો વિકસિત નહીં થાય. તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. ખેડૂતોએ ગત ચોમાસાઓના અંદાજ મુજબ વાવણી કરી હતી અને તેમને આશા હતી કે ભીમ અગિયારસે સારો વરસાદ થશે પરંતુ, આ આશા પણ ઠગારી નીવડી છે.

ખેડૂતોની એક જ માગ છે કે સૌની યોજના અંતર્ગત સરકાર પાણી આપે. કારણ કે હાલ જે ખેતરોમાં સિંચાઈની સુવિધા નથી. ત્યાં તો ખેડૂતો મુશ્કેલીમાં છે જ. પણ, જ્યાં સિંચાઈની સુવિધા છે. ત્યાં પણ પાણીના મર્યાદિત જથ્થાને લીધે ચિંતા વધી છે.

 

મહેસાણા પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી, ચોમાસું મોડું થતાં વાવણીના આયોજન ખોરવાયા- Video

Published on: Jun 28, 2026 06:15 PM
Follow Us