નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે નવરાત્રીના તહેવારને લઈને હિન્દુ સંગઠનો સક્રિય થયા છે. સુરત જિલ્લામાં VHP અને બજરંગ દળ દ્વારા ગરબા આયોજકોને ટકોર કરવામાં આવી છે. કોઈ પણ ગરબા આયોજકો વિધર્મી યુવકોને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ ન આપવા માટે બજરંગ દળે ગરબા આયોજકોને જણાવ્યુ છે.
જો વિદ્યર્મી યુવકો ગરબા ગ્રાઉન્ડમાં દેખાશે તો હિન્દુ સંગઠનો વિરોધ કરશે. જે પણ લોકો ગરબે રમવા આવે એના આધારકાર્ડ ચેક કરવામાં આવે આ સાથે જ ગૌ મૂત્રનો છંટકાવ અને કપાળ પર તિલક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ સાથે જ VHP અને બજરંગ દળએ જણાવ્યુ છે કે 150 હિન્દુ કાર્યકરો અને 50 બહેનોની ટીમો અલગ અલગ ગરબા ગ્રાઉન્ડ ઉપર ચેકિંગ કરવામાં આવેશે.
બીજી તરફ રાજકોટમાં નવરાત્રી ગરબા કાર્યક્રમોમાં પ્રવેશ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ નવરાત્રીને લઇને નિયમો વધુ કડક કરાયા છે. ખાનગી આયોજકોએ સોગંદનામામાં નામ રજૂ કરવા પડશે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવું ફરજિયાત છે.
માર્ગ અને મકાન વિભાગ પાસેથી સર્ટિફિકેટ લેવું પડશે. તેમજ ફાયર સુવિધા, ઇલેક્ટ્રિક સાધનોના પ્રમાણપત્રો લેવા પડશે. આ ઉપરાંત ખાણી-પીણીના સ્ટોલ માટે ફૂડ ઈન્સ્પેક્ટરની મંજૂરી ફરજિયાત કરાઇ છે. આ સિવાય ઈમરજન્સી માટે એમ્બ્યુલન્સ, તબીબ સ્થળ પર હાજર રાખવા સૂચન કરાયું છે. આ તમામ વચ્ચે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ગુજરાતના સૌથી મહત્વના તહેવાર માટે તંત્ર સજ્જ હોવાનો દાવો કર્યો છે.