રાજ્યમાં માવઠાથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. માવઠાના લીધે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. રાજકોટના ઉપલેટાના લાઠ ગામમાં માવઠાથી તૈયાર રવી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ઘઉં, જીરુ, ધાણા, ચણા અને ડુંગળી સહિતના પાક પર કમોસમી વરસાદે પાણી ફેરવ્યું છે. અંદાજિત 800 વીઘા જમીનમાં તૈયાર થયેલા પાકને નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતોને વધુ એકવાર રોવાનો વારો આવ્યો છે.
આ તરફ ધોરાજી પંથકમાં પણ કમોસમી વરસાદે તારાજી સર્જી છે. ભારે પવન અને કમોસમી વરસાદને કારણે રવિ પાકને ભારે નુકસાન થયું છે.ધોરાજી પંથકમાં માવઠાને કારણે ઘઉંના તૈયાર પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિને કારણે કપાસ અને મગફળીનું તૈયાર પાક ધોવાઈ ગયો હતો.બાદમાં ખેડૂતોએ સારા ભાવની આશાએ ચણા, જીરું, ઘાણા, ઘઉં, ડુંગળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું પણ પાક તૈયાર થઈ ગયો અને લણવાનો સમય આવ્યો ત્યારે ભારે પવન ફુંકાવવાને કારણે પાક ઢળી પડ્યો અને ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. જેથી ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી નુકસાનીનું વળતર આપવા માગ કરી છે.
આ તરફ જસદણ પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો.જસદણના આટકોટ, વિરનગર, લીલાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદને પગલે રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા હતા. તો બીજી તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખેતરમાં તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ છે. જેને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.