ભાવનગર શહેરમાં અશાંત ધારાની માગ સાથે ફરી એક વખત હિન્દુ સંગઠનો મેદાનમાં ઉતર્યા છે. વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ જાગરણ મંચ સહિતના સંગઠનોના કાર્યકરો તેમજ સ્થાનિક લોકો એકત્ર થઇને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કચેરીનો ઘેરાવ કર્યો હતો. લોકોએ હાથમાં બેનરો અને સુત્રોચ્ચાર સાથે અશાંત ધારો લાગુ કરવાની માગ કરી હતી.
સ્થાનિકોનું કહેવું છે કે ભાવનગરના ગીતા ચોક અને દેવુ બાગ સહિતના અનેક પોશ વિસ્તારોમાં વિધર્મીઓ દ્વારા મિલકતો ભાડે અથવા તો વેચાતી લેવામાં આવી રહી છે. આથી ભાવનગર શહેરમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માગ કરવામા આવી છે. હિન્દુ સંગઠનોના આગેવાનોનું કહેવું છે કે અમે છેલ્લા 20 વર્ષથી અશાંત ધારો લાગુ કરવાની માગ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : ભાવનગર : મનપાએ રૂ.96.27 કરોડનું પુરાંતવાળું બજેટ કર્યું મંજૂર, સત્તાધિશો જૂના પ્રોજેક્ટ પૂર્ણ કરે તેવી લોકમાગ ઉઠી
જો અમરેલી અને મોરબી જેવા નાના સેન્ટરમાં અશાંત ધારો લાગુ હોય તો ભાવનગર જેવા મોટા શહેરમાં કેમ અશાંત ધારો લાગુ નથી કરાતો તેવો સવાલ તેમણે કર્યો હતો. જો અશાંત ધારાની માગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભાજપના ધારાસભ્યો અને નગરસેવકોના ઘરનો ઘેરાવ કરવાની સ્થાનિકો દ્વારા ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારવામાં આવશે.