મહેસાણામાં રવિવારે આવેલા વિનાશક વરસાદમાં બહુચરાજી CHCમાં ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા CHC કેમ્પસમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષો ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે. જનરેટર પર વૃક્ષ પડતા ભારે નુકસાન પહોંચ્યુ છે. તથા CHC કેમ્પસમાં આવેલા શેડને પણ ભારે નુકસાન થયુ છે.
યાત્રાધામ બહુચરાજીમાં પ્રથમ વરસાદમાં જ રેલવે વિભાગની પણ પોલ ખુલ્લી પડી છે. રેલવે વિભાગની બેદરકારીને કારણે લોકો ટ્રેનના ડબ્બાની નીચેથી જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યાં છે. બહુચરાજીમાં રેલવે અંડરપાસ તો બનાવવામાં આવ્યો છે. પરંતુ લોકોની અવરજવર માટે પગદંડી બનાવવામાં આવી નથી.જેને કારણે લોકો ટ્રેનના ડબ્બાની નીચેથી જીવના જોખમે નીકળવા મજબૂર બન્યાં છે. નાના બાળકોથી લઈ વૃદ્ધો ઉભી રહેલી ટ્રેનના ડબ્બા નીચેથી પસાર થઇ રહ્યાં છે. અંડરપાસમાં પાણી ભરાવાના કારણે લોકો પાટા પર ઉભેલી ટ્રેન નીચેની પસાર થઇ રહ્યાં છે.
ત્યારે સવાલ થાય કે જો લોકો ટ્રેન નીચે નીકળતા હોય અને જાનહાની થાય તો જવાબદાર કોણ ? તો બીજી તરફ બહુચરાજીના તલાટીનો આક્ષેપ છે કે અંડરપાસમાં રેલવે વિભાગે કોઇ પગદંડીની વ્યવસ્થા કરી છે.પાણી નિકાલની પણ વ્યવસ્થા નથી. જેને લઇ લોકોને ભારે મુશ્કેલી પડે છે. આ અંગે વારંવાર રેલવે વિભાગને જાણ કરવા છતાં કોઇ ઉકેલ લવાતો નથી.