મહીસાગરના લુણાવાડાની જામાંપગીના મુવાડા પ્રાથમિક શાળામાં આસારામની પૂજા કરવા મુદ્દે તપાસના આદેશ અપાયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ TPOને તપાસના આદેશ આપ્યાં છે. સમગ્ર મામલે TPO તપાસ કરી રીપોર્ટ સોંપશે. જે બાદ કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે જામાંપગીના મુવાડા પ્રાથમિક શાળામાં 14 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં દુષ્કર્મના આરોપી આસારામનું બેનર અને ફોટો મુકતા વિવાદ થયો હતો.
પ્રાથમિક શાળામાં બાળકોના વાલીઓને બોલાવી માતૃપિતૃ પૂજન કાર્યકમ યોજાયો હતો. જેના દ્રશ્યો લોકોને વિચલિત કરે તેમ હતા. આ કાર્યકમમાં દુષ્કર્મના આરોપી આસારામના ફોટાની પૂજા કરવામા આવી હતી. એટલું જ નહીં આસારામના પ્રવચન સંભળાવી ફોટાની પૂજા કરવામાં આવી હતી. મહત્વનું છે કે આસારામને કોર્ટે બળાત્કારના દોષી ઘોષિત કરી સજા પણ ફટકારી છે. ત્યારે આવા ગુનેગાર આસારામના ફોટાની આરતી ઉતારી શાળા બાળકોને કયા પ્રકારના સંસ્કાર આપવા માંગે છે તેવા અનેક સવાલો ઉભા થયા છે.
આ પણ વાંચો: Video : મહિસાગર પોલીસના લોક દરબારમાં 12 વ્યાજખોરો સામે અરજીઓ મળતા ગુનો નોંધાયો
સમગ્ર બનાવના વીડિયો-ફોટો સામે આવતા વિવાદ સર્જાયો છે. ત્યારે એક બળાત્કારીની આરતી ઉતારવી અને એ પણ સરકારી શાળામાં તે કેટલા અંશે યોગ્ય છે તેવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે.