Gujarati Video: અમિત ચાવડાએ જંત્રીનો વિરોધ કરી સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

|

Feb 06, 2023 | 6:47 PM

ટોકન લેવા કે નહીં અને દસ્તાવેજ કરાવવો કે નહીં તેની અસમંજસ વચ્ચે ક્રેડાઇના ચેરમેન અજય પટેલે સ્પષ્ટતા કરી કે જેઓએ અગાઉથી ટોકન લઇ લીધું છે તેમને જૂની જંત્રીનો દર લાગુ પડશે અને નવા ટોકનના કેસમાં નવી જંત્રી લાગુ પડશે.

જંત્રીના દરોમાં 11 વર્ષ બાદ વધારો થયો છે, પરંતુ એક સાથે 100 ટકાનો વધારો થતા વિવાદ અને વિરોધ બંને ઉભા થયા છે. નવી જંત્રીનો અમલ આજથી અમલી થવાનો હતો, પરંતુ હાલ સમગ્ર વિવાદ ગૂંચવાયેલો હોવાથી સૌ કોઈ રાહત માટે સરકાર તરફ મીડ માંડીને બેઠા છે અને રાહ જુએ છે કે સરકાર ફરી એકવાર જંત્રી મુદ્દે રાહત આપતી નવી જાહેરાત કરે.

રાજ્ય સરકારે જંત્રીના કરેલા બમણા વધારા મુદ્દે વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. અમિત ચાવડાએ કહ્યું હતું કે રાતોરાત જંત્રી બમણી થતા સામાન્ય કે મધ્યમવર્ગના ખરીદદારોને મોટું નુકસાન જશે. રાજ્ય સરકારે પરિપત્રને તાત્કાલિક સ્થગિત કરી સૌ સાથે ચર્ચાના અંતે જંત્રીનો અમલ કરવો જોઈએ.

જંત્રીની અસમંજસવાળી સ્થિતિ વચ્ચે મુખ્યપ્રધાન અને બિલ્ડર્સ વચ્ચે બેઠક

તો નવી જંત્રીની ઝંઝટ વચ્ચે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે બિલ્ડરો વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક બાદ બિલ્ડરોના ચહેરા ઉપર ખુશાલી જોવા મળી હતી. બિલ્ડર એસોસિએશનનો દાવો છે કે સીએમ પટેલ સાથેની તેઓની બેઠક હકારાત્મક રહી છે અને ભૂપેન્દ્ર પટેલે જંત્રીને લઈને નવી જાહેરાત કરવાનું વચન આપ્યું છે. હવે આ દાવો કેટલો સાચો તે સરકારની નવી જાહેરાત બાદ જ જાણી શકાશે, પરંતુ બેઠક બાદ ક્રેડાઈના ચેરમેન અજય પટેલનું નિવેદન સામે આવ્યું છે.

ક્રેડાઈના ચેરમેન અજય પટેલે દાવો કર્યો કે CM ભૂપેન્દ્ર પટેલે તેમની રજૂઆત સાંભળી છે અને યોગ્ય વિચારણા બાદ ટૂંક સમયમાં જાહેરાતનું આશ્વાસન આપ્યું છે. અજય પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકાર અમારી માગ પર હકારાત્મક રીતે વિચારશે. મહત્વપૂર્ણ છે કે બિલ્ડર એસોસિએશનની માગ હતી કે 33-33 ટકાના દરે નવી જંત્રી લાગુ કરાય અને નવી જંત્રી લાગુ કરતા પહેલા 3 માસનો સમય આપવામાં આવે.

ટોકન લેવા કે નહીં અને દસ્તાવેજ કરાવવો કે નહીં તેની અસમંજસ વચ્ચે ક્રેડાઈના ચેરમેન અજય પટેલે સ્પષ્ટતા કરી કે જેઓએ અગાઉથી ટોકન લઇ લીધું છે તેમને જૂની જંત્રીનો દર લાગુ પડશે અને નવા ટોકનના કેસમાં નવી જંત્રી લાગુ પડશે.

Next Video