નર્મદા: જંગલ સફારીમાં ગરમીથી બચવા 1500 વન્યજીવો માટે એસી, કુલર અને ખાસ ફ્રુટ પોપ્સિકલ્સની સુવિધા
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલી જંગલ સફારીમાં ઉનાળાની લૂ અને ગરમીથી વન્યજીવોને બચાવવા માટે તંત્ર સજ્જ થયું છે. 100 પ્રજાતિના 1500 જેટલા દેશ-વિદેશના પ્રાણી-પક્ષીઓ માટે એસી, સ્પ્રિંકલર અને ખાસ ફ્રોઝન ફૂડ ડાયેટની અદભુત વ્યવસ્થા કરવામાં આવી છે.
નર્મદા જિલ્લાના એકતાનગરમાં આવેલી જંગલ સફારી (સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક) માં પડી રહેલી અંગ દઝાડતી ગરમી સામે અહીં વસતા 100 પ્રજાતિના 1500 જેટલા દેશ-વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓની પરિવારના સભ્યોની જેમ સવિશેષ કાળજી રાખવામાં આવી રહી છે.
વન્યજીવોને લૂથી બચાવવા તમામ પિંજરાઓમાં એરકુલર, એસી (AC) અને પંખા જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરાઈ છે. પક્ષીઓના પાંજરામાં ખાસ વોટર સ્પ્રિંકલર લગાવીને સતત પાણીનો છંટકાવ કરાય છે, જેથી વાતાવરણ ઠંડુ રહે. આ ઉપરાંત, હરણ, રીંછ, હિપ્પોપોટેમસ અને ભારતીય ગેંડા જેવા પ્રાણીઓ માટે કૃત્રિમ તળાવ બનાવાયા છે, જ્યાં તેઓ કલાકો સુધી બેસી રહે છે. વિદેશી નાના પ્રાણીઓ માટેના સ્પેશિયલ પેટ ઝોનમાં પણ એરકુલર અને પતરાના શેડની વ્યવસ્થા છે.
પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે ખાસ ડાયેટ પ્લાન તૈયાર કરાયો છે. વિદેશી પ્રજાતિના પ્રાણીઓ-પક્ષીઓ માટે વિવિધ ફળોના રસ અને ફ્રુટ્સને ફ્રોઝન કરીને ખાસ આઈસ ક્યુબ તેમજ આઈસ્ક્રીમ જેવા ‘પોપ્સિકલ્સ’ ખાવા માટે અપાય છે. વેટરનરી તબીબો અને પ્રાણીશાસ્ત્રીઓની એક સ્પેશિયલ ટીમ 24 કલાક રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રાણીઓના ખોરાક, સ્વાસ્થ્ય અને વર્તણૂક પર સતત દેખરેખ રાખે છે. કુદરતી વાતાવરણ વચ્ચે કૃત્રિમ ઠંડક ઊભી કરવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે.