વિધાનસભાની ચૂંટણી (Assembly elections) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં વિરોધ વધી રહ્યો છે. ખેડૂતો, યુવાનો, સરકારી કર્મચારી, માલધારી સમાજ સહિત લોકો વિરોધ નોંધાવી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પહેલા સરકાર સામે થઇ રહેલા આંદોલનોનો (Protests) ઝડપી ઉકેલ લાવવા ભૂપેન્દ્ર પટેલ સરકારે પ્રયાસ શરૂ કર્યા છે. જેના ભાગરૂપે આજે કેબિનેટની બેઠક બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) અલગ-અલગ મહત્વની બેઠક કરશે. સરકારના વિવિધ મંત્રીઓની કમિટી દિવસભર અલગ-અલગ બેઠક કરશે. આ બેઠક બાદ કિસાન સંઘની માગ અને પોલીસ બાંહેધરી પત્રક મુદ્દે નિર્ણય આવી શકે છે.
મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી છે. જો કે કેબિનેટની બેઠક બાદ મુખ્યપ્રધાન ચાર અલગ અલગ બેઠક લેવાના છે. જેમાં પ્રથમ બેઠક આંદોલન માટેની જે સમિતીની રચના કરવામાં આવી છે તેમની સાથે છે. આ બેઠકમાં આંદોલનોને લઇને અત્યાર સુધીમાં જે પગલા લેવાયા છે અને તેની સાથે જે અલગ અલગ આંદોલન ચાલી રહ્યા છે. તેમાં વચગાળાનો રસ્તો શું નીકળી શકે તેના પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ આંદોલનોને લઇને અત્યાર સુધીમાં લેવાયેલા પગલા અને આગામી સમયમાં શું કામગીરી કરવામાં આવશે તેની માટેની ચર્ચા કરવામાં આવશે.
ત્યારબાદ કિસાન સંઘ દ્વારા પંદર દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યુ છે. કિસાન સંઘના જે પ્રતિનીધિ છે, તેમજ સરકારના જે મંત્રીઓ છે તેમની સાથે મુખ્યપ્રધાન એક અલગથી બેઠક કરવાના છે. પોલીસના ગ્રેડ પેને લઇને જે બાંહેધરી પત્રક આપવાની વાત છે ત્યારે તેને લઇને નિર્ણય આવી શકે છે. સરકાર દ્વારા તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર આંદોલનોને કઇ રીતે સમેટી શકે તે અંગેની ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાશે. એટલે કે ચાર અલગ અલગ મુદ્દાઓને લઇને સરકાર બેઠક કરશે અને આંદોલનોનો અંત લાવવા પર ચર્ચા કરશે.