Gandhinagar : કેબિનેટ બેઠકમાં જૈન સમાજમાં ફેલાયેલા આક્રોશ મુદ્દે થઇ ચર્ચા, સાંજ સુધીમાં SITની કમિટીના સભ્યોના નામની થશે જાહેરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ જૈન વિવાદ મુદ્દે ચર્ચા થઇ. સરકારે આ મુદ્દે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી. જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. કેબિનેટની બેઠકમાં બૂસ્ટર ડોઝ, G20 બેઠક, જૈન સમાજના વિરોધ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. તો સાથે જ કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. કોરોનાના કેસ તથા વેક્સિનેશન કામગીરીની પણ સમીક્ષા કરાઇ. G-20 બેઠકને લઈ ગુજરાતમાં યોજાનારી બેઠકો મુદ્દે પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી.
પાલીતાણા શેત્રુંજ્ય મહાતીર્થમાં વિવાદને લઇને ગુજરાત સહિત દેશભરના જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં પણ જૈન વિવાદ મુદ્દે ચર્ચા થઇ. સરકારે આ મુદ્દે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાની જાહેરાત કરી છે. ત્યારે સાંજ સુધીમાં SITની કમિટીના સભ્યોના નામની જાહેરાત થશે. આ ટાસ્ક ફોર્સમાં પાલિકા, મહેસૂલ, ફોરેસ્ટ એમ તમામ વિભાગના અધિકારીઓ રહેશે. જેથી બેઠકમાં એકસાથે જ નિર્ણય લઇ શકાય. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ મુદ્દે અનેક મહત્વની બેઠકો યોજી તમામ વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી ટાસ્ક ફોર્સ બનાવવા માટેની સૂચના આપી હતી.
કેબિનેટની બેઠકમાં રાજ્યભરના ચેકડેમ તેમજ પ્રાથમિક શાળાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી. જે મુજબ ચેકડેમના સમારકામોને પ્રાથમિકતા આપવામાં આવશે. તો બજેટ પહેલા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાના સમારકામ અંગે પણ બેઠકમાં નિર્ણય લેવાયો. બેઠકમાં બજેટ અંગે પણ મહત્વની ચર્ચા કરવામાં આવી. વિવિધ વિભાગોમાં કેટલી ગ્રાન્ટ વપરાઇ તથા કેટલી બાકી રહી આ અંગે પણ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે.