ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુજરાતમાં જાણે પ્રચાર યુદ્ધ ચાલી રહ્યું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર ઝુંબેશ ચાલી રહી છે. જેમાં સુરેન્દ્રનગરમાં આયોજિત જાહેર સભામાં ગૃહપ્રધાન અમિત શાહે આંબેડકરનો મુદ્દો ઉઠાવી કોંગ્રેસને ઘેરી હતી. અમિત શાહે જણાવ્યું કે જવાહરલાલ નહેરુથી લઇને રાહુલ ગાંધી સુધી એમ કોંગ્રેસની 4-4 પેઢીઓએ આંબેડકરનું અપમાન કરવામાં કંઇ બાકી નથી રાખ્યું. કોંગ્રેસે આટલા વર્ષોના શાસનમાં આંબેડકરનું કોઇ સ્મારક ન બનાવ્યું અને હવે કોંગ્રેસ મત માટે આંબેડકરના નામની માળા જપે છે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ આંબેડકરના જન્મસ્થાન મઉથી લઇને મુંબઇ સુધી અને દિલ્લીથી લઇને લંડન સુધી એમ 5 તીર્થ સ્વરૂપ સ્મારકો બનાવ્યા.
આ ઉપરાંત, સૌરાષ્ટ્રનો ગઢ સર કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જસદણમાં ઝંઝાવાતી પ્રચાર કરી કોંગ્રેસને આડેહાથ લીધી. અમિત શાહે જણાવ્યું કે કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું, છતાં સૌરાષ્ટ્ર તરસ્યું રહ્યું પણ ભાજપે સૌરાષ્ટ્રવાસીઓની પાણીની સમસ્યા કાયમી ધોરણે દૂર કરી. તેમણે કહ્યું કે વર્ષો સુધી નર્મદા યોજનામાં રોડા નાંખનારા મેધા પાટકર રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા. ગુજરાત વિરોધીઓને સાથ આપીને કોંગ્રેસ ગુજરાતના ઘા પર મીઠું ભભરાવે છે. અરવિંદ કેજરીવાલે પણ 2014માં મેધા પાટકરને ટિકિટ આપી હતી. જો કે કેજરીવાલ સમજી વિચારીને મેધા પાટકરને ગુજરાતમાં નથી લાવતા.